સૌજન્ય: પ્રણવ ધાનાવાડે અંગે મુંબઈના અંગ્રેજી દૈનિક મિડ-ડેમાં પ્રકાશિત હરીત જોષીનો વિશેષ અહેવાલ
મુંબઇ : ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રમતવીરે તેની સ્કોલરશિપ લેવાનો ઇનકાર કરી દીધો હોય અને માત્ર એ જ કારણસર કે તે અગાઉ જેવી રમત દાખવી શકતો નથી? હજી ગયા વર્ષના જાન્યુઆરીમાં મુંબઈના કલ્યાણ ખાતે સ્કૂલ ટુર્નામેન્ટની એક ક્રિકેટ મેચમાં એક જ ઇનિંગ્સમાં 1009 રન ફટકારનારા પ્રણવ ધાનાવાડેના પિતાએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને એક પત્ર લખીને સ્કોલરશિપ લેવાનો ઇનકાર કરી દીધો છે. એક ઇનિંગ્સમાં 1009 રન ફટકારનારા પ્રણવના પિતા કહે છે તે અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી એટલે અમે સ્કોલરશિપના નાણા લઇ શકાય નહીં.
તેણે જાન્યુઆરી 2016માં ભંડારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે. સી. ગાંધી સ્કૂલ તરફથી રમતાં આર્યા ગુરુકુલ સ્કૂલ સામે 323 બોલમાં 1009 રન ફટકાર્યા હતા. તેણે 59 સિક્સર અને 129 બાઉન્ડ્રી ફટકારી હતી.
તેની આ સિદ્ધિ બાદ મુંબઈ ક્રિકેટ એસોસિયેશને તેને 2021ના ડિસેમ્બર સુધી દર મહિને 10,000 રૂપિયા સ્કોલરશિપ તરીકે આપવાનો નિર્ણય લીધો હતો અને તે મુજબ તેને આ રકમ દર મહિને મળતી રહે છે. મુંબઈના એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ પ્રણવના પિતા પ્રશાંત ધાનાવાડેએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે “પ્રણવ સૌની અપેક્ષા મુજબનો દેખાવ કરી રહ્યો નથી ત્યારે આ રકમ અમે લઈ શકીએ નહીં. આમ તાત્કાલિક અસરથી આ રકમ મોકલવાનું બંધ કરી દેશો.”
એ વખતે તેને ઘણી ઓફર આવી હતી પરંતુ આ બે વર્ષના ગાળામાં ધાનાવાડેએ ખાસ નોંધપાત્ર દેખાવ કર્યો નથી અને તેને હવે એર ઇન્ડિયાની ટીમમાં ટ્રેનિંગ અપાતી નથી. દાદર યુનિયને તેને પસંદ કર્યો હતો પરંતુ ત્યાંથી તેને કહી દેવામાં આવ્યું છે કે તે હવે કોઈ નવી ક્લબ શોધી લે.
મુંબઈની અંડર-19 ટીમના સંભવિતોની યાદીમાં પણ તેનો સમાવેશ થયો નથી. તેના પિતા પ્રશાંત અને કોચ મોબીન શેખે કબૂલ્યું હતું કે ધાનાવાડે સ્થાનિક ક્રિકેટમાં રન કરી શકતો નથી. જોકે સાથે સાથે તેમણે કલ્યામમાં ક્રિકેટર માટેની સવલતો અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ પ્રશાંત ધાનાવાડેએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખ્યો હતો.
કલ્યાણમાં રીક્ષા ચલાવતાં પ્રશાંત ધાવાનાડેના પિતાએ જણાવ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ માટે જે સ્કોલરશિપ આપવામાં આવી તેના માટે અમે આભારી છીએ પરંતુ પ્રણવ છેલ્લા દોઢ વર્ષથી સારો દેખાવ કરી રહ્યો નથી ત્યારે અમારા માટે તે રકમ લેવી યોગ્ય લેખાશે નહીં. જો તે ભવિષ્યમાં સારી રમત દાખવે તો એસોસિયેશન ફેરવિચારણા કરી શકે છે.
તેના કોચ મોબીન કહે છે કે એ ઇનિંગ્સ બાદ પ્રણવ મુક્તપણે રમી શકતો નથી. ઘણા લોકો એવી કોમેન્ટ કરતા રહે છે કે તેને 1009 રનની એક જ ઇનિંગ્સમાંથી પર્યાપ્ત રૂપિયા મળી ગયા છે. તેના માટે હવે ક્રિકેટ રમવાની જરૂર જ નથી. એવી પણ અફવા છે કે પ્રણવે બાંદ્રામાં એક મકાન પણ લઈ લીધું છે.
આ બધી ખોટી વાતો તેની ચિંતામાં વધારો કરે છે. અમે એવો આક્ષેપ સહન કરવા માગતા નથી કે કાંઈ કર્યું નહીં અને પૈસા લઈ લીધા. અમે 1009 રનની યાદને ભુલાવી દેવા માગીએ છીએ.