અમદાવાદ : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝનો પ્રથમ મુકાબલો બુધવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં યોજાશે. ભારતીય ટીમ ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં જીત મેળવ્યા બાદ ટી-૨૦ સિરીઝમાં પણ પોતાનો દબદબો જાળવી રાખવાના ઇરાદે ઊતરશે. ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી અને વન-ડેમાં ૨-૧થી વિજય મેળવ્યો હતો.
ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતે રોહિતની કેપ્ટનશિપમાં વન-ડે સિરીઝ ૨-૧થી જીતી હતી. ભારતીય ટીમ હવે ટી-૨૦ સિરીઝમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે તેવામાં આ સ્ટેડિયમમાં પોતાના જૂના રેકોર્ડને ભૂલી જીત મેળવવાના ઇરાદે ઊતરશે. કટકમાં ભારતે અત્યાર સુધી માત્ર એક ટી-૨૦ મેચ રમી છે જેમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. પાંચ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ આફ્રિકાએ ભારતને ૯૨ રનમાં ઓલઆઉટ કરી છ વિકેટે જીત મેળવી હતી. તે વખતે ભારતના ખરાબ પ્રદર્શનને કારણે દર્શકોએ મેદાન પર બોટલો પણ ફેંકી હતી. ફરી એક વખત ભારતની બેટિંગનો આધાર રોહિત શર્મા પર રહેશે જેની સાથે લોકેશ રાહુલ ઓપનિંગમાં ઊતરશે. મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર પર દબાણ ઘટાડવા માટે સારી શરૂઆત કરવી જરૂરી છે.
ગત વર્ષે જૂનમાં ઝિમ્બાબ્વે સામે અંતિમ ટી-૨૦ મેચ રમનાર જયદેવ ઉનડકટની ટીમમાં વાપસી થઈ છે જ્યારે બાસિલ થમ્પી, વોશિંગ્ટન સુંદર અને દીપક હુડ્ડા પ્રથમ વાર રમશે. ધોની અને હાર્દિક પંડયા જેવા બે ફિનિશર છે જેને કારણે હુડ્ડાને તક મળવી મુશ્કેલ લાગી રહી છે. ઝડપી બોલર ભુવનેશ્વરકુમારને આરામ અપાયો હોવાથી જસપ્રીત બુમરાહ પર જવાબદારી વધી જશે. બુમરાહને બાસિલ થમ્પી અથવા સિરાજનો સાથ મળશે. સ્પિન વિભાગમાં ચહલ અને કુલદીપ યાદવ પર જવાબદારી રહેશે.
બીજી તરફ સતત પાંચ ટી-૨૦ મેચ હારી ચૂકેલી શ્રીલંકન ટીમ તરફથી ઓપનર થરંગા ફોર્મમાં છે. બેટિંગમાં થરંગા અને મેથ્યુઝ પર બેટિંગનો મદાર રહેશે. મિડલ ઓર્ડરમાં ડિક્વેલા પણ સારી બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકન બોલરો ધર્મશાલામાં રમાયેલી વન-ડેમાં શાનદાર પ્રદર્શન બાદ બાકીની બંને વન-ડેમાં પોતાનું પ્રદર્શન જાળવી શક્યા નહોતા જેને કારણે સિરીઝ ગુમાવવી પડી હતી. હવે ટી-૨૦માં શ્રીલંકાની નજર પોતાનું પ્રદર્શન સુધારી વિજય મેળવવા પર રહેશે.
ભારતે શ્રીલંકા સામે સાત ટી-૨૦ મેચમાં જીત મેળવી છે
ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ ૨૦૦૯થી લઈ અત્યાર સુધી કુલ ૧૧ ટી-૨૦ મેચ રમાઈ છે જે પૈકી ભારતે સાતમાં વિજય મેળવ્યો છે જ્યારે શ્રીલંકાની ટીમ ચાર મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે રમાયેલી શરૂઆતની સાત ટી-૨૦ મેચમાં શ્રીલંકાએ ચાર અને ભારતે ત્રણ જીતી હતી પરંતુ ભારતીય ટીમે ત્યારબાદ શ્રીલંકા સામે રમાયેલી ચારેય ટી-૨૦ મેચ જીતી લીધી હતી. શ્રીલંકાએ ભારત સામે ૨૦૦૯માં નાગપુરમાં રમાયેલી ટી-૨૦માં પાંચ વિકેટે ૨૧૫ રન બનાવ્યા હતા જે બંને દેશો વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં ઉચ્ચ સ્કોરનો રેકોર્ડ છે. બંને દેશો વચ્ચેની મેચમાં નિમ્ન સ્કોરનો રેકોર્ડ પણ શ્રીલંકાના નામે છે. લંકાએ ૨૦૧૬માં વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ૮૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા સામે ભારતનો ઉચ્ચ સ્કોર ચાર વિકેટે ૨૧૧ રનનો છે જે ૨૦૦૯માં મોહાલી ખાતે રમાયેલી મેચમાં બનાવ્યા હતા.