ભારતના માજી ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે વિરાટ કોહલી ઇન્ટરનેશનલ લેવલે એટલે અસરકારક લાગે છે કારણકે તેની પાસે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માના રૂપમાં બે સૌથી સફળ કેપ્ટન હાજર છે. ધોનીની ગણતરી ભારતના મહાન કેપ્ટનોમાં થાય છે, જેણે ભારતને બે વર્લ્ડકપ અપાવ્યા છે. જ્યારે રોહિત ફ્રેન્ચાઇઝી કેપ્ટન તરીકે ઘણો સફળ છે અને તેણે મુંબઇ ઇન્ડિયન્સને 4 આઇપીએલ ટાઇલટ અપાવ્યા છે.
ગંભીરે અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હજુ કોહલીએ ઘણી લાંબી મજલ કાપવાની છે. કોહલી ઇંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લા વર્લ્ડકપમાં ઘણો સારો હતો પણ તેણે હજુ ઘણે દૂર સુધી જવાનું છે. કોહલીના આઇપીએલ રેકોર્ડ અંગે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે કેપ્ટન તરીકે અસરકારક પુરવાર થવાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે તમને ઘણાં પ્રતિભાશાળી ખેલાડીઓની સેવા નથી મળતી. કોલકાતા નાઇટ રાઇડર્સને બે આઇપીએલ ટાઇટલ જીતડનારા ગંભીરે કહ્યું હતું કે કેપ્ટનશિપના ગુણની પરખ ત્યારે થાય છે જ્યારે તમે એક ફ્રેન્ચાઇઝીની આગેવાની સંભાળો છો, જ્યારે તમારી પાસે સહકાર માટે અન્ય ખેલાડીઓ નથી હોતા.