ઘમણાદ ગામે રહેતા લલ્લુ બેચરભાઈ ચૌહાણને નાયબ કલેકટર જંબુસરના હુકમથી ગરીબ મજૂરોને જીવન નિર્વાહ ગુજારવા માટે સરકાર તરફથી ૧૮ માર્ચ ૨૦૧૬ થી જમીન ખેડાણ માટે આપી હતી.
જે જમીન ઉપર ગામના ત્રાહિત વ્યક્તિઓ દ્વારા મકાન તેમજ વાડામાં બાથરૂમ બનાવી દબાણ કરવામાં આવ્યું હતું.જે બાબતે ઘમણાદ ગામના લલ્લુ બેચરભાઈ ચૌહાણે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ માં ઘમણાદ ગામના તલાટીથી માંડી આમોદ મામલતદાર, આમોદ તાલુકા વિકાસ અધિકારી, જંબુસર નાયબ કલેકટર, ભરૂચ જીલ્લા કલેકટર, દબાણ શાખા, ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી, તત્કાલીન મુખ્યમંત્રી સહિતનાને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત ભરૂચ ડી.આઈ.એલ.આર.દ્વારા જમીનની માપણી પણ કરવામાં આવી હતી.
તેમજ માપણી શીટની નકલ પણ રજૂ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે સર્વે નંબર ૮૪૬ વાળી જમીન ઉપર દબાણ થયેલું છે. છતાં સર્વે નંબર ૮૪૬ વાળી ખેડાણવાળી જમીન ઉપરથી દબાણ દૂર નહીં થતાં આમોદ મામલતદાર ની કોર્ટમાં કેસ નંબર ૦૨/૨૦૨૧ થી કેસ દાખલ કરવામાં આવ્યા બાદ જતા તત્કાલિન આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલે તા.૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ હુકમ કરી સર્વે નંબર ૮૪૬ વાળી જમીનમાં આવેલા મકાન વાડો તેમજ વાડામાં બાથરૂમનું બાંધકામ દબાણકારોના ખર્ચે દિન-૧૫ માં દૂર કરવા હુકમ કર્યો હતો. છતાં આજ દિન સુધી દબાણો દૂર કરવામાં નહીં આવતા અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરતા સરકારી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
ત્યારે કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તો કાયદાની અમલવારી કોણ કરી બતાવશે તે જોવું રહ્યું ત્યારે પીડિતોને સમય પર ન્યાય ન મળે જે માટે જવાબદારો પર કાયદાનો કોયડો વીંજાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.