પૂછપરછ દરમિયાન માફિયા અતીક અહેમદ પોલીસને વળતો સવાલ કરી રહ્યો છે. અતીકે પૂછપરછ કરી રહેલા અધિકારીઓને કહ્યું હતું કે ‘મારો મોબાઈલ ક્યાં છે જેનાથી હું સાબરમતી જેલની અંદરથી વાત કરતો હતો? હું અને અશરફ જે મોબાઈલ પરથી વાત કરતા હતા તે મને બતાવી દો, હું બધા પ્રશ્નોના સાચા જવાબ આપી દઈશ.’ માફિયા અતીકે કહ્યું કે અમારી વિરુદ્ધ તમામ પુરાવાઓ બનાવટી બનાવવામાં આવી રહ્યા છે. પાયાવિહોણી વાર્તા બનાવી મારા પરિવારનું નામ ખેંચવામાં આવ્યું.
ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે
જ્યારે મુન્શી રાકેશ લાલા અને નોકર કેશ અહેમદના કહેવા પર રોકડ અને હથિયારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અતીકે કહ્યું કે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી હોય એ, કોર્ટમાં તો સાચું જ બોલશે. પૂછપરછમાં અતીક અને અશરફ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મર્ડર કેસ સાથે સંબંધિત પુરાવા બતાવવામાં પણ તે મૌન ધારણ કરી લે છે. જે પ્રશ્નો પર એવું લાગે છે કે તે ફસાઈ રહ્યો છે, તો એના પર અતીક અને અશરફ જેલમાં હોવાની વાત કરે છે.
અસદ મારા જિગરનો ટુકડો હતો – અશરફ
બરેલી જેલમાં અસદને મળવા પર અશરફે કહ્યું – ‘તે મારો ભત્રીજો હતો, મારા જિગરનો ટુકડો હતો, તે તેના કાકાને મળવા આવ્યો હતો.’ અત્યારે તો અતીકે વધુ બોલવાનું બંધ કરી દીધું છે કારણ કે તે ગઈ રાતથી અસદના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. પૂછપરછ દરમિયાન અતીક પોલીસના મોટાભાગના સવાલોના જવાબ હા અને નામાં જ આપી રહ્યો છે.
ઉમેશ પાલ મર્ડર કેસની તપાસ ચાલી રહી છે
ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ દ્વારા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. બીએસપી ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીએ ધુમાનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર 25 ફેબ્રુઆરીના રોજ અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, બે પુત્રો, સાથીદારો ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય નવ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.