‘તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે’ – બેંકના નામે આવતા મેસેજ પાછળનું સચ્ચાઈ જાણો
દેશમાં ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ વ્યવહારો જેટલી ઝડપથી લોકપ્રિય બન્યા છે, તેટલી જ ઝડપથી સાયબર ક્ષેત્રે છેતરપિંડી કરનારા ઠગોની સક્રિયતા પણ વધી છે. સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સતત જાગૃતિ ફેલાવવામાં આવતી હોવા છતાં, સાયબર ગુનેગારો લોકોને નિશાન બનાવવા માટે રોજેરોજ નવી પદ્ધતિઓ શોધી રહ્યા છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે ટેક્સ્ટ-મેસેજ અને એસએમએસ-આધારિત કૌભાંડોમાં ગયા વર્ષની સરખામણીએ ૧૪૬ ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે.
વોઈસ કોલને ટ્રેસ કરવા અને બ્લોક કરવા સરળ હોવાથી હવે સાયબર ઠગો ટેક્સ્ટ મેસેજને મુખ્ય હથિયાર બનાવી રહ્યા છે. બેંકિંગ થોડી જાગૃતિ અને સાવચેતી દાખવીને જ આવા નાણાકીય નુકસાનથી બચી શકાય છે.
કઈ રીતે થાય છે ટેક્સ્ટ મેસેજ કૌભાંડ?
સાયબર ગુનેગારો બેંકો, કુરિયર કંપનીઓ અથવા સરકારી એજન્સીઓનો ઢોંગ કરીને એકસાથે હજારો લોકોને નકલી એસએમએસ મોકલે છે. સામાન્ય રીતે લોકોમાં ગભરાટ કે લાલચ ઊભી કરીને પ્રતિસાદ મેળવવો એ તેમનો મુખ્ય હેતુ હોય છે.
આ કૌભાંડમાં સૌથી વધુ વપરાતી રીત નો-યોર-કસ્ટમર (KYC) અપડેટ અથવા ‘એકાઉન્ટ સસ્પેન્ડ થવા’ અંગેના મેસેજ છે. મેસેજમાં એક લિંક આપવામાં આવે છે, જેના પર ક્લિક કરતાં જ બેંકની અસલી સાઈટ જેવી જ દેખાતી નકલી વેબ પેજ ખૂલે છે. ત્યાં લોગિન આઈડી, પાસવર્ડ કે ઓટીપી (OTP) દાખલ કરતા જ સ્કેમર્સને તમામ ગુપ્ત વિગતો મળી જાય છે. આ સિવાય “પાર્સલ અટવાઈ ગયું છે”, “વીજળીનું બિલ બાકી છે” કે “સરકારી નોટિસ આવી છે” જેવા મેસેજ મોકલીને પણ લોકોને ડરાવવામાં આવે છે.

ચેતવણીના સંકેતો ઓળખો
કોઈપણ શંકાસ્પદ સંદેશો મળે ત્યારે અમુક બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે:
-
અજાણી લિંક્સ: શોર્ટ યુઆરએલ (Short URL), ખોટી જોડણીવાળા વેબસાઈટના નામો કે વિચિત્ર લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં.
-
ઓટીપી કે પિનની માગ: બેંક કે કોઈ સરકારી સંસ્થા ક્યારેય ફોન કે મેસેજ પર તમારો OTP, PIN કે પાસવર્ડ માંગતી નથી.
-
સામાન્ય મોબાઈલ નંબર: જો બેંક કે સરકારી વિભાગનો દાવો કરતો મેસેજ કોઈ સામાન્ય ૧૦-અંકના વ્યક્તિગત મોબાઈલ નંબર પરથી આવ્યો હોય, તો તે ચોક્કસ કૌભાંડ છે.
-
એપીકે ફાઈલ કે રિમોટ એપ: ‘બેંકિંગ એપ અપડેટ કરવા’ માટે કોઈ APK ફાઈલ ઇન્સ્ટોલ કરવા કે ફોનનો કંટ્રોલ આપતી એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવે તો તે ભૂલથી પણ ન કરવું.

સાચું અને ખોટો મેસેજ ઓળખવાની સાચી રીત
જો તમને બેંક કે અન્ય કોઈ સંસ્થાના નામે શંકાસ્પદ મેસેજ મળે, તો ક્યારેય તેમાં આપેલી લિંક કે નંબર પર સંપર્ક ન કરો.
ચકાસણી કરવા માટે હંમેશાં બેંકની સત્તાવાર એપ્લિકેશન, સત્તાવાર વેબસાઇટ અથવા તમારા ડેબિટ કાર્ડ અને પાસબુક પર છપાયેલા ગ્રાહક સેવા (Customer Care) નંબરનો જ ઉપયોગ કરો. આરબીઆઈ (RBI) કે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના નામે આવતા મેસેજને તેમના અધિકૃત પોર્ટલ પર જઈને જ ચકાસો.
કોઈપણ ઉતાવળિયા નિર્ણય લેવાને બદલે થોડી ક્ષણ શાંતિથી વિચારો. અજાણ્યા મેસેજ કે વોટ્સએપ પર આવેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું એ જ સાયબર કૌભાંડોથી બચવાનો સૌથી સુરક્ષિત માર્ગ છે.