ભૂલથી પણ ન કરતા આ ભૂલ! CDC એ જાહેર કરી ગંભીર ચેતવણી, આખરે શું છે આ ‘સાયક્લોસ્પોરા’?
અમેરિકામાં આ દિવસોમાં એક સિક્રેટ અને ખતરનાક ફૂડબોર્ન પેરાસાઇટ (ખોરાક દ્વારા ફેલાતા પરોપજીવી જીવાણુ) એ હાહાકાર મચાવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ મામલે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. અમેરિકાના 31 થી વધુ રાજ્યોમાં ‘સાયક્લોસ્પોરિયાસિસ’ (Cyclosporiasis) નામના ગંભીર ચેપને કારણે અત્યાર સુધીમાં આશરે 3,000 જેટલા લોકો બીમાર પડ્યા છે. આ એક એવો રોગચાળો છે જે દૂષિત ખોરાક ખાવાથી ફેલાય છે અને પેટની ગંભીર બીમારીઓ પેદા કરે છે. હેલ્થ ઓફિસર્સ હાલમાં એ શોધવાનો રાત-દિવસ પ્રયાસ કરી રહ્યા છે કે આખરે કઈ ખાવા-પીવાની વસ્તુમાંથી આ વાયરસ લોકોના શરીરમાં પહોંચી રહ્યો છે, કારણ કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
CDC ના સત્તાવાર આંકડા અનુસાર, દેશભરમાં 843 કેસની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 1,500 થી વધુ શંકાસ્પદ કેસોની હજુ તપાસ ચાલી રહી છે. જો તમામ રાજ્યોના હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટાને ભેગો કરવામાં આવે તો કુલ કેસનો આંકડો 2,912 પર પહોંચી ગયો છે, જેમાંથી 86 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે હજુ સુધી આ બીમારીના કારણે કોઈના મોતના સમાચાર નથી.

મિશિગન રાજ્ય બન્યું રોગચાળાનું એપીસેન્ટર
આ આખા આઉટબ્રેકમાં અમેરિકાનું મિશિગન (Michigan) રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. એકલા મિશિગનમાં જ 1,562 કન્ફર્મ કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. મિશિગનની પાડોશમાં આવેલા ઓહાયો (Ohio) રાજ્યમાં પણ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સિવાય ન્યૂયોર્ક, ઇલિનોઇસ, કોલોરાડો, નોર્થ કેરોલિના, ટેક્સાસ અને વિસ્કોન્સિન જેવા ઘણા રાજ્યો આ પેરાસાઇટની ઝપેટમાં આવી ગયા છે.
આરોગ્ય નિષ્ણાતો આ આંકડા જોઈને આશ્ચર્યચકિત છે, કારણ કે મિશિગનમાં સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન માંડ 40 થી 50 કેસ જ આવતા હોય છે. તેની સરખામણીએ આ વર્ષે હજારો કેસ આવવા એ ઇતિહાસનો સૌથી મોટો આઉટબ્રેક માનવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો હવે આ પેરાસાઇટના જિનેટિક મટિરિયલનું સિક્વન્સિંગ (DNA ટેસ્ટિંગ) કરી રહ્યા છે જેથી જાણી શકાય કે શું આ બધા જ દર્દીઓ કોઈ એક જ ચોક્કસ સોર્સ અથવા ફેક્ટરીમાંથી આવેલો ખોરાક ખાવાથી બીમાર પડ્યા છે કે કેમ.
આખરે શું છે આ ‘સાયક્લોસ્પોરિયાસિસ’ બીમારી?
સાયક્લોસ્પોરિયાસિસ એ એક પ્રકારનો ફૂડ પોઇઝનિંગ જેવો જ રોગ છે, જે આંખે ન જોઈ શકાય તેવા અતિ સૂક્ષ્મ પરોપજીવી જીવાણુ ‘સાયક્લોસ્પોરા કેયેટેનેન્સિસ’ (Cyclospora cayetanensis) ના કારણે થાય છે. આ પેરાસાઇટ સામાન્ય રીતે કાચા શાકભાજી, તાજા ફળો, લીલા મસાલા (કોથમીર, તુલસી વગેરે) અને સલાડના પાંદડાઓ પર જોવા મળે છે. ભૂતકાળમાં જ્યારે પણ આ રોગચાળો ફેલાયો છે, ત્યારે તેની પાછળ લીલી કોથમીર (Cilantro), બેસિલ (Basil), પેકેટમાં આવતું સલાડ કે રાસ્પબેરી જેવા ફળો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં દૂષિત પાણી પીવાથી પણ આ જીવાણુ શરીરમાં પ્રવેશી શકે છે.
સારી વાત એ છે કે, સામાન્ય પેટના વાયરસની જેમ આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સીધી ફેલાતી નથી. એટલે કે દર્દીની બાજુમાં બેસવાથી કે હાથ મિલાવવાથી આ ચેપ લાગતો નથી. આ પેરાસાઇટને વાતાવરણમાં સક્રિય અને ચેપી બનવા માટે દિવસો કે અઠવાડિયાનો સમય લાગે છે, તેથી તે માત્ર દૂષિત ખોરાક મારફતે જ ફેલાય છે.

સાયક્લોસ્પોરા ઇન્ફેક્શનના લક્ષણો શું છે?
જ્યારે કોઈ વ્યક્તિ આ દૂષિત ખોરાક ખાય છે, તેના અંદાજે એક અઠવાડિયા પછી શરીરમાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. આટલો લાંબો સમય લાગતો હોવાથી તપાસ અધિકારીઓ માટે એ શોધવું અઘરું બને છે કે દર્દીએ અઠવાડિયા પહેલા શું ખાધું હતું. આ બીમારીના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
-
અત્યંત ગંભીર અને પાણી જેવા પાતળા ઝાડા (Severe Watery Diarrhoea)
-
પેટમાં અસહ્ય ચૂક આવવી અને ક્રેમ્પ્સ થવા
-
ઉબકા આવવા અથવા ઊલટી થવી
-
પેટમાં ભારે ગેસ થવો અને પેટ ફૂલી જવું (Bloating)
-
અતિશય થાક લાગવો અને આખા શરીરમાં કળતર થવી
-
ભૂખ બિલકુલ મરી જવી અને વજન ઘટવું
-
કેટલાક કિસ્સાઓમાં હળવો તાવ આવવો
જો આ બીમારીની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો આ લક્ષણો કેટલાક અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલી શકે છે. આમાં એવું પણ બને છે કે દર્દી થોડા દિવસ સારું અનુભવે અને અચાનક ફરીથી તે જ બધી તકલીફો ઉપડી આવે.
કોના માટે આ ચેપ વધુ ખતરનાક છે?
આ પેરાસાઇટ ગમે તેવા મજબૂત માણસને પણ પથારીવશ કરી શકે છે, પરંતુ કેટલાક લોકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) અને જેમની રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી છે, તેમને આ ચેપ ખૂબ જ ગંભીર અસર કરે છે.
અત્યાર સુધીના ડેટા પ્રમાણે, આશરે 10 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સતત થતા ઝાડાને લીધે શરીરમાંથી પાણી સાવ ખાલી થઈ જાય છે (Severe Dehydration), જે કિડની અને શરીરના અન્ય અંગો માટે જોખમી છે.
સારવાર અને નિદાન કેવી રીતે થાય છે?
સામાન્ય એન્ટીબાયોટીક્સ આ પેરાસાઇટ પર અસર કરતી નથી. ડોક્ટરો આની સારવાર માટે ખાસ પ્રકારની એન્ટીબાયોટીક જેમ કે ‘ટ્રાઇમેથોપ્રિમ-સલ્ફામેથોક્સાઝોલ’ (Trimethoprim-sulfamethoxazole – જે સામાન્ય રીતે બેક્ટ્રિમ/Bactrim નામે ઓળખાય છે) નો ઉપયોગ કરે છે. આ સાથે દર્દીને સતત પાણી, ઓઆરએસ (ORS) અથવા ગ્લુકોઝના ટીપાં ચડાવીને શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.