ગુજરાતમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે સતત અવઢવ બાદ આખરે કોરોના પ્રોટોકોલની સાથે ગાંધીનગરમાં 10મો ગુજરાત વાઈબ્રન્ટ મહોત્સવ યોજવા સરકારે નિર્ણય લઇ લીધો છે. આગામી 10નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન સહિત પાંચ રાષ્ટ્રવડાઓ અને ડીપી વર્લ્ડના સુલતાન અહમદ બિન સુલેયમાન સહિત વૈશ્વીક કંપનીઓનાં માંધાતાઓ હાજરી આપશે. સાથે ભારતમાંથી અંબાણી, અદાણી સહિતના કોર્પોરેટ દિગ્ગજો પણ ઉપસ્થિત રહેશે.
ચાલુ માસના પ્રારંભે યોજાનાર વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવનો પ્રારંભ કરશે તે પણ નિશ્ર્ચિત થઇ ગયું છે. તા. 9 અને 10 એમ બે દિવસ વાઈબ્રન્ટ મહોત્સવ યોજાનાર છે અને ગુજરાત સરકારના જાહેર કરાયા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10નાં રોજ મહોત્સવનું ઉદઘાટન કરશે અને તેઓ આ માટે ખાસ ગાંધીનગર આવશે. આમ ગુજરાતમાં કોરોનાના કેસ વચ્ચે વાઈબ્રન્ટ મહોત્સવ યોજાશે કે કેમ તે અટકળોનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે સતાવાર રીતે જાહેર કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવમાં હાજરી આપશે અને તા. 10ના રોજ આ મહોત્સવનો પ્રારંભ કરાવશે. મહોત્સવમાં પ્રથમ વખત રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન, મોઝામ્બીકનાં રાષ્ટ્રપતિ ફિલીપ જેક્ધિટો ન્યુસી, મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવિંદ જુગન્નાથ, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સા હાજર રહેશે.
આ ઉપરાંત વિશ્વના ઉદ્યોગ જગતની મોટી હસ્તીઓમાં સાઉદી અરેબિયા ડીપી વર્લ્ડના સુલતાન અહમદ બિન સુલેયમાન, નયારા એનર્જી ટોની ફાઉન્ટન, સુઝુકી મોટરના તોસી હીરો સુઝુકી, ગ્લોબલ એટોમીક કોર્પોરેશનના ડો. વિવેક લાલ, જાપાન બેન્ક ઓફ ઇન્ટરેશનલ કોર્પોરેશનના મેએઝા તાદાસી, બોઇંગ ઇન્ડીયાના સઇ ગુપ્તે અને લોકહીડ માર્ટીન ઇન્ડીયાના વીલીયમ બ્લેર હાજરી આપશે.
ભારતીય ઉદ્યોગ જગતમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, ભારતી એરટેલના સુનિલ ભારતી મીતલ, હિન્દુજા ગ્રુપુના અશોક હિન્દુજા, ટાટા ગ્રુપમાંથી એન ચંદ્રશેખરન તથા આરજીપી ગ્રુપમાંથી હર્ષ ગોએન્કા હાજર રહેશે અને આ વાઈબ્રન્ટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રહેશે.
આ ઉપરાંત ડિફેન્સ ઓટોમોબાઈલ ફાયનાન્સીયલ રીટેઇલ અને રિયલ્ટી ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ હાજર રહેશે. કુલ 15 જેટલા વિદેશી રાજકીય મહેમાનોએ ભાગ લેવા માટે ખાતરી આપી છે. આ સમગ્ર વાઈબ્રન્ટ મહોત્સવ સંપૂર્ણ કોરોના પ્રોટોકોલ હેઠળ યોજાશે. જો કે વિદેશી મહાનુભાવો માટે ભારતમાં ક્વોરન્ટાઈન થવાની શરત ખાસ પડતી મુકાઈ છે.