ગાંધીનગર ગુજરાતના રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં અન્ય રાજ્યોની જેમ વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં ઝડપથી આર્થિક પ્રવૃત્તિ, નાના-મોટા વ્યવસાય, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશન માટે આ દરખાસ્ત કરવામાં આવી શકે છે. જો કે તેના માટે વ્યક્તિગત સલામતીને પ્રાધાન્ય આપે તેવા એકમો શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવશે.
સીએમઓના એક અધિકારીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન 3જી મે સુધી ચાલુ રહેવાનું છે પરંતુ રાજ્યમાં એવા ઘણાં વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ અને ગ્રીન ઝોન છે ત્યાં કેટલીક અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો કોઇ જોખમ નથી. દેશના કેટલાક રાજ્યોએ મેન્યુફેક્ચરીંગ અને બાંધકામ જેવી પ્રવૃત્તિ શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાયા પછી બીજા એકમો માટે છૂટ આપવાની માગણી કરી છે. ગુજરાત પણ આવી માગણી કરી શકે છે.
કેન્દ્રની માર્ગદર્શિકાનો ગુજરાતમાં હાલ અમલ થઇ રહ્યો છે પરંતુ વ્યાપાર અને વ્યવસાયમાં વધુ રૂકાવટ ન આવે તે હેતુથી ગુજરાત સરકાર એક રિપોર્ટ બનાવી રહી છે જેમાં કઇ કઇ નવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે તેનો ક્યાસ કાઢી રહી છે. ગુજરાતમાં જે વિસ્તારોમાં રેડઝોન છે ત્યાં લોકડાઉનનો અમલ ચાલુ રહેશે પરંતુ જ્યાં ઓરેન્જ ઝોન છે અને ગ્રીન ઝોન છે ત્યાં સલામતીના કડક પગલાં સાથે નવી કઇ કઇ પ્રવૃત્તિ શરૂ થઇ શકે તેમ છે તે અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી સંગઠનો સાથે ચર્ચા કરવાનું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે.
આ અધિકારીએ કહ્યું હતું કે સૌથી મોટો પ્રશ્ન કામદારો છે. જે લોકો ગુજરાત છોડીને તેમના વતન જતા રહ્યાં છે તેમને પાછા લાવવા કઠીન છે. કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા તો બનાવી છે પરંતુ ટ્રાન્સપોર્ટેશનના કારણે આ કામદારો પાછા કેવી રીતે આવશે તે નિશ્ચિત નથી. ગાંધીનગરના એક વ્યવસાયકારે કહ્યું હતું કે અમારા બઘાં કારીગરો રાજસ્થાન જતા રહ્યાં છે. સરકાર અમને પરમિશન આપે તો પણ અમે વ્યવસાય શરૂ કરી શકીએ તેમ નથી, કારણ કે અમારી પાસે કારીગરો નથી. કારીગરોને લેવા માટે અમારે સ્પેશ્યલ વાહન લઇને તેમના વતન જવું પડે તેમ છે.
કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં શ્રમિકોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કર્યું છે અને અત્યારે ઉપલબ્ધ શ્રમિકો આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવા માટે જરૂરી વિશેષ નિપુણતા ધરાવે છે કે નહીં એ મુદ્દે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે. ગુજરાત સરકાર પણ તેમાં સાથ આપી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં ઉપલબ્ધ શ્રમિકો અગાઉ ભલે અન્ય ક્ષેત્રોમાં કામ કરતા હોય, પણ તેમનો ઔદ્યોગિક અને કૃષિ પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકાય કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે.
જોકે, સરકારે હજુ આંતરરાજ્ય અવરજવરને છૂટ આપી નથી. એનો અર્થ એ થયો કે, ત્રીજી મે સુધી ગુજરાતમાં રાજસ્થાન, બિહાર અને ઉત્તરપ્રદેશમાંથી શ્રમિકો પાછા ફરવાની શક્યતા નથી. એટલે રાજ્યોએ તેમની પાસે ઉપલબ્ધ શ્રમિકોની મદદથી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવાની રહેશે. જેમાં કેન્દ્ર સરકાર તેમની મદદ કરશે.
ગુજરાતમાં એવી પણ ચકાસણી થઇ રહી છે કે જ્યાં નવો વ્યવસાય કે એકમ શરૂ કરવામાં આવે ત્યાં કર્મચારીઓની સલામતી માટેના પગલાં લેવામાં આવે છે કે નહીં. આવી કોઇ ગેરંટી પછી જે તે એકમ કે વ્યવસાયકારને એકમ શરૂ કરવાની છૂટ આપવામાં આવશે. જેમ કે કોઇ રેસ્ટોરન્ટમાં સલામતીના માપદંડોનું પાલન કરવાની શરતે તેને ખોલવાની છૂટ આપી શકાય તેમ છે. કેન્દ્ર સરકારે કેરાલા રાજ્યને જે છૂટ આપી છે તેવી છૂટ ગુજરાતને મળે તે માટેના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.