ગુજરાતમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીકનું પ્રકરણ હવે રાષ્ટ્રીય સ્તરે ઘૂમરાતું જઈ રહ્યું છે. ભાજપ કાર્યાલય કમલમ પર આપના વિરોધ પ્રદર્શન બાદ કાર્યકરો અને નેતાઓને જેલમાં ધકેલી દેવાના મામલે આજે આપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં ગુજરાત આવશે. તેમના આગમનને લઈને અમદાવાદમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટેની અરજી પોલીસે નામંજુર કરતાં આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
AAPના પ્રદેશ કાર્યાલયની પોલીસ તંત્ર દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. અને બંને ઊપવાસી નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. પોલિસ દ્વારા ઊપવાસીઓની મુલાકાતે આવનાર લોકોને અટકાવામાં આવે છે અને અમારા મૌલિક અઘિકારોનુ હનન કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓની ગતિવિઘી પર નજર રાખવામાં આવી રહી છે. જો અસિત વોરા રાજીનામુ ના આપે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો નજીકના ભવિષ્યમાં કાર્યક્રમ બનશે. પંજાબની ચૂંટણીઓમાં વ્યસ્ત હોવા છતાં, અરવિંદ કેજરીવાલ ગુજરાતના યુવાનોના ભવિષ્ય બાબતે એટલા જ ચિંતિત છે અને નિયમિત અપડેટ મેળવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના કમલમ પર ઘર્ષણ બાદ અમારા નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે. જેમાં મહિલાઓ પણ હતી. આ 28 મહિલાઓની કોર્ટે જામીન અરજી મંજુર કરતાં તેઓ જામીન પર મુક્ત થઈ છે. પરંતુ હજી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી સહિત 60થી વધુ નેતાઓ સાબરમતિ જેલમાં છે. આ નેતાઓને બહાર કાઢવા માટે જામીન અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં યોજાશે.
આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીના સિનિયર નેતા મહેશ સવાણી તથા પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપવાસ પર બેઠા છે. તેમના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. બંનેની તબિયત હાલમાં સ્થિર છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે જો તેઓ વધુ સમય સુધી ઉપવાસ કરશે તો તેમની તબિયત વધુ પ્રમાણમાં બગડી શકે છે. ડોક્ટરોએ તેમને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની સલાહ પણ આપી છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું ઊપવાસ આંદોલન ચાલુ છે.
મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતની પરિસ્થિતિને જોતાં અમે અનેક કાર્યક્રમો આપીશું. જેમાં અમારી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આગામી સમયમાં ગુજરાત આવશે. તેમણે કહ્યું હતું કે, અમે ગાંધી આશ્રમની આસપાસ ઉપવાસ કરવા માટે પોલીસ કમિશ્નર પાસે મંજુરી માંગી હતી. પરંતુ કોઈ પણ કારણ જણાવ્યા વિના અમારી અરજીને ફગાવી દેવામાં આવી છે. જેથી અમે હાઈકોર્ટમાં ઉપવાસ આંદોલન માટેનું સ્થળ મેળવવા માટે અરજી કરી છે. અમને ન્યાય તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. અમને ન્યાય મળશે.