ગુજરાતમાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળી રહી હતી પણ પાછલા કેટલાક દિવસોથી આપ દ્વારા ધીરજ ધરવામાં આવી રહી હોવાના અણસાર મળી રહ્યા છે. તાજેતરમાં સુરત આવેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાની ટૂંકી મુલાકાત ફક્કી રહી હતી અને મહેશ સવાણી આયોજિત સમૂહ લગ્નમાં તેમણે માત્ર કેટલીક ઔપચારિક્તા આટોપી હતી.
આપ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને કબ્જે કરવાનું સપનું જોવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની જેમ ગાંધીનગરમાં આપ કમસે કમ વિરોધપક્ષમાં બેસી શકે તેટલી સીટો હાંસલ કરવાની ઈચ્છા રાખતી હતી પણ આપના તોફાનમાં કોંગ્રેસનાં કાંગરા ખેરવાઈ ગયા અને ચૂંટણી કરુણ રકાસ થયો.
ગાંધીનગરના પરાજ્ય પછી આપ દ્વારા ક્યાંકને ક્યાંક વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં આવ્યો હોય એવું મનાય છે. ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી અને મહેશ સવાણની ત્રિપુટીના કડાકા-ભડાકા હાલ શાંત થયા હોવાનું જણાય છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે પણ આપના પાણી શાંત થયેલા દેખાય છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સમય છે ત્યારે આપ દ્વારા ધીરજ ધરવામાં આવી રહી છે. અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરવાના બદલે આપ દ્વારા સમગ્ર રાજ્યમાં ધીરજ ધરીને સંગઠન ઉપરાંત પ્રચાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય એમ લાગે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપના કેટલાક નેતાઓની કાર્યપદ્વતિ અને ચૂંટણી ફંડને લઈને પણ વિવાદ થયો હતો અને તેના કારણે આપના કેટલાક નેતાઓ કચવાટ કરી રહ્યા છે.
જોકે, કેન્દ્રીય નેતાગીરીએ આ કચવાટને દુર કરવાનો પ્રયાસ કર્યો છે અને આપમાં સબ સલામત હોવાની આલબેલ પોકારવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં આપ દ્વારા નવેસરથી વ્યૂહરચના ઘડીને ગુજરાતમાં સંગઠનનને મજૂબત કરવાની સાથે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે એવું મનાય છે.
હાલ તો ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી રહી છે અને તેના પરિણામો પર પણ આપની નજર હશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામડાઓનો પ્રવાહ કઈ દિશા તરફ વહે છે તે જોઈને પણ આપ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરશે, એવું સૂત્રો જણાવી રહ્યા છે.