ચરિત્ર, સત્ય અને સ્વમાનનું રક્ષણ: આચાર્ય ચાણક્ય અનુસાર કઈ જગ્યાઓથી દૂર રહેવું હિતાવહ?
આચાર્ય ચાણક્યની નીતિઓ અને ઉપદેશો સદીઓ પછી પણ માનવ જીવન માટે એટલા જ પ્રાસંગિક અને વ્યવહારુ રહ્યા છે. જીવનમાં સફળતા, માન-સન્માન અને શાંતિ જાળવી રાખવા માટે ચાણક્ય નીતિમાં ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ચાણક્યના મતે, સમાજમાં પોતાની પ્રતિષ્ઠા પ્રત્યે સજાગ રહેતી વ્યક્તિએ અમુક સ્થળો અને પરિસ્થિતિઓથી હંમેશાં અંતર જાળવી રાખવું જોઈએ, ચાહે ત્યાંથી આમંત્રણ કેમ ન મળ્યું હોય!
જીવનમાં સફળતા મેળવવી જેટલી અગત્યની છે, તેનાથી પણ વધુ મહત્વનું છે પોતાના સ્વમાન અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરવું. આચાર્ય ચાણક્ય કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે જે આવનારી મુશ્કેલી અને સંકટને દૂરથી પારખી લે છે. ઘણીવાર આપણો પોતાનો મોહ, લોભ કે લોકોના મીઠા શબ્દો આપણી વિવેકબુદ્ધિ પર પડદો પાડી દે છે, જેના કારણે આપણે ખોટી જગ્યાએ પહોંચી જઈએ છીએ.
ચાણક્ય નીતિમાં એવાં ૭ સ્થળો અને પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં જવું વ્યક્તિના આત્મસન્માન અને જીવન માટે વિનાશક સાબિત થઈ શકે છે.
૧. ઈર્ષાળુ કે કપટી વ્યક્તિનું ઘર
જે વ્યક્તિ તમારા પ્રત્યે હૃદયમાં દ્વેષ કે ઈર્ષ્યા રાખે છે, તે જો પ્રેમથી પોતાના ઘરે આમંત્રણ આપે તો પણ ત્યાં ન જવું જોઈએ. આવી વ્યક્તિનો હેતુ તમને સન્માન આપવાનો નહીં પણ તમારી નબળાઈઓ શોધીને તમને નીચા બતાવવાનો હોય છે. ચાણક્ય કહે છે કે સાપ પોતાની કાંચળી ઉતારી શકે છે પણ પોતાનું ઝેર છોડી શકતો નથી, તેમ કપટી માણસ પોતાના સ્વભાવથી ક્યારેય મુક્ત થતો નથી.

૨. જ્યાં તમારું અનાદર કે અપમાન થતું હોય
સ્વમાન વગરનું જીવન નકામું છે. જ્યાં તમને વારંવાર અવગણવામાં આવે, નાનમ અનુભવવામાં આવે કે અપમાનિત કરવામાં આવે, તે જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ. અપમાન એ એક ધીમા ઝેર સમાન છે જે માણસની અંદર રહેલા આત્મવિશ્વાસને ધીમે ધીમે ખતમ કરી નાખે છે.
૩. જ્યાં તમારી મદદ કે સમર્પણની કદર ન હોય
જે સંબંધોમાં તમે સતત નિઃસ્વાર્થપણે મદદ કરો છો પરંતુ સામેથી ઉપેક્ષા સિવાય કશું મળતું નથી, તે સંબંધ નથી પણ એક બોજ છે. કૂવામાં પથ્થર ફેંકવાથી ક્યારેય પાણી મીઠું થતું નથી. ચાણક્યના મતે, પોતાની શક્તિ અને સમય ત્યાં જ ખર્ચવો જોઈએ જ્યાં તેનું વાસ્તવિક મૂલ્ય સમજાતું હોય.
૪. બે શક્તિશાળી લોકોનો વિવાદ
જ્યારે બે સમર્થ અથવા શક્તિશાળી લોકો કે સત્તાઓ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હોય, ત્યારે વચ્ચે પડવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. જેમ બે હાથીઓની લડાઈમાં વચ્ચે આવેલું ઘાસ કચડાઈ જાય છે, તેમ બે બળવાન લોકોના ઝઘડામાં મધ્યસ્થી બનનાર કે નિર્દોષ વ્યક્તિનો નાશ થાય છે. આવી સ્થિતિમાં તટસ્થ રહેવું જ શ્રેષ્ઠ છે.
૫. જ્યાં જૂઠનો સહારા લેવો પડે
ભલે તે તમારો મિત્ર હોય, સંબંધી હોય કે બોસ હોય, જો કોઈ જગ્યાએ કે કામમાં તમને અસત્ય બોલવાની કે ખોટા કાર્યોનો ભાગ બનવાની ફરજ પાડવામાં આવતી હોય તો ત્યાંથી તરત ખસી જવું જોઈએ. એક અસત્યને છુપાવવા સો અસત્ય બોલવા પડે છે. સત્યનો માર્ગ ભલે કઠિન હોય, પણ તે અંતે આદર જ અપાવે છે.
૬. જુગાર, દારૂ અને અસંયમનો અડ્ડો
દુર્વ્યસનો અને જુગારના અડ્ડાઓ શરૂઆતમાં ક્ષણિક આનંદ કે આકર્ષણ આપી શકે છે, પરંતુ અંતે તે વ્યક્તિનું ધન, પરિવાર, માનસિક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠા બધું જ નષ્ટ કરી દે છે. પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન રાખી શકનાર વ્યક્તિ ક્યારેય લાંબાગાળે સફળ થઈ શકતી નથી.

૭. કુદ્રષ્ટિ ધરાવતી અથવા ચારિત્ર્યહીન સંગત
અજાણ્યા કે અયોગ્ય ઈરાદા ધરાવતી વ્યક્તિઓ સાથે એકાંતમાં રહેવું એ પોતાના ચારિત્ર્ય પર દાગ લગાડવા સમાન છે. ચારિત્ર્ય પર લાગેલો ડાઘ ક્યારેય ભૂંસાતો નથી અને આખી જિંદગીની કમાયેલી ઇજ્જત પળભરમાં રોળાઈ જાય છે. ચાણક્યના મતે, દરેક સ્ત્રી પ્રત્યે માત્ર માતૃભાવ અને પુરુષ પ્રત્યે ભાઈચારાની ભાવના જ પરમ કલ્યાણકારી છે.