દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો: ટર્મિનલ પાસે ધુમાડાના ગોટા, ફ્લાઈટ્સ ઠપ અને હજારો ભારતીયો અટવાયા
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) પર ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ટર્મિનલની આસપાસ ડ્રોન અટકાવવામાં આવ્યા બાદ સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓએ એરપોર્ટ પાસે જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો અને ત્યારબાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. સત્તાવાળાઓએ આ ઘટનાને ‘સાવચેતીના પગલા રૂપે શટડાઉન’ ગણાવ્યું છે. 7 માર્ચના રોજ એરપોર્ટ પરથી મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર ખાડી દેશોમાં એવિએશન કટોકટી
ઈરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓને કારણે સમગ્ર વિસ્તારમાં હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે. માત્ર દુબઈ જ નહીં, પરંતુ અન્ય દેશોના એરપોર્ટ પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે:
- કતાર (Qatar): હમદ ઇન્ટરનેશનલ એરપોર્ટે (DOH) પણ કામગીરી સ્થગિત કરી હતી. હાલમાં ત્યાંથી માત્ર ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટેની ‘રીપેટ્રિએશન ફ્લાઈટ્સ’ ને જ મંજૂરી આપવામાં આવી રહી છે. કતારનું એરસ્પેસ સુરક્ષાના કારણોસર હજુ પણ બંધ છે.
- કુવૈત (Kuwait): કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 (T1) ને પણ ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં કેટલાક કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને ઈમારતને નુકસાન થયું છે. કુવૈતે પણ પોતાનું એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે.
- અબુ ધાબી (Abu Dhabi): ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
હજારો ભારતીયો મધ્ય-પૂર્વમાં ફસાયા
ખાડી દેશોમાં વિમાની સેવાઓ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો વિવિધ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ અને ટૂંકા ગાળાની મુલાકાતે ગયેલા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે.
ભારતીય દૂતાવાસોએ નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે:
- કતારમાં ફસાયેલા ભારતીયો: જે ભારતીય નાગરિકો કતારના રહેવાસી નથી અને ત્યાં ફસાયા છે, તેમને દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી લિંક પર પોતાની વિગતો સબમિટ કરવા જણાવાયું છે.
- કુવૈત માટે એડવાઈઝરી: કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને ચેતવણી આપી છે કે જો આકાશમાંથી કોઈ અજાણી વસ્તુ કે મિસાઈલના અવશેષો પડતા દેખાય, તો તેની પાસે ન જવું અને તાત્કાલિક સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરવી.
תיעוד: כטב”ם איראני פוגע בנמל התעופה הבין-לאומי בדובאי@itamargalit pic.twitter.com/j5yxV7rNGN
— כאן חדשות (@kann_news) March 7, 2026
ભારત સરકારે એક્ટિવેટ કર્યો સ્પેશિયલ કંટ્રોલ રૂમ
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) એક ‘સ્પેશિયલ કંટ્રોલ રૂમ’ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમ દ્વારા ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને તેમને જરૂરી મદદ પૂરી પાડવા માટે સંકલન કરવામાં આવશે.
એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને સલાહ આપી છે કે જ્યાં સુધી તમારી પાસે એરલાઇન તરફથી કન્ફર્મ બુકિંગ અને મુસાફરીનો સંદેશ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જવાનું ટાળવું. સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
