40,000 કિમીની સફર પૂર્ણ, 950 દિવસનું મિશન
ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરાથી ચિંતિત થઈ આજે અનેક લોકો પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવી રહ્યા છે. આવા સમયે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મૂળ નિવાસી અને હાલ લદાખમાં રહેતા સુબોધ વિજયે અનોખી સાહસિક યાત્રાનો આરંભ કર્યો છે. તેઓ સાયકલ દ્વારા સમગ્ર ભારતમાં ફેરો લગાવી લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણની રક્ષા અંગે પ્રેરિત કરી રહ્યાં છે. સિમેન્ટના જંગલોની વધતી અસર વચ્ચે કુદરત જાળવવાનો સંદેશ આપવાનું તેઓએ પોતાનું ધ્યેય બનાવ્યું છે.
એક લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્ય, 40,000 કિમીનો પ્રવાસ પૂર્ણ
સૂબોધ વિજયે 19 જૂન 2024ના રોજ ‘પર્યાવરણ જાણો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે અત્યાર સુધી 507 દિવસમાં 40,000 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને યાત્રા સતત આગળ વધી રહી છે. દેશને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે તેઓ 1,00,000 વૃક્ષ વાવવાનું લક્ષ્ય લઈને કાર્યરત છે. આ યાત્રા કુલ 950 દિવસની રહેશે અને જુલાઈ–ઓગસ્ટ 2027 દરમ્યાન માઉન્ટ એવરેસ્ટ અભિયાન સાથે સમાપ્ત થશે.
જામનગર પહોંચીને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ અને જનજાગૃતિ
તેમની યાત્રા દરમિયાન સુબોધ તાજેતરમાં જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે શહેરની ભૌગોલિક પરિસ્થિતિને નજીકથી જાણી. જામનગરના લોકોની મહેમાનનવાજી અને પર્યાવરણપ્રેમી પ્રવૃત્તિઓએ તેમને પ્રભાવિત કર્યા. દરેક શહેર અને ગામમાં તેઓ લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી રહ્યા છે અને યુવાનોને આ અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કરી રહ્યા છે.
સરકારની પહેલથી પ્રેરણા, દેશને હરિયાળો બનાવવા સંકલ્પ
સુબોધના જણાવ્યા મુજબ ફિટ ઈન્ડિયા અને ‘એક પેડ મા કે નામ’ જેવી સરકારની પહેલોએ તેમને વિશેષ પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે આવી પહેલો લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ બચાવવાની ભાવના જગાવે છે. આ વિચારોથી પ્રેરિત થઈ જ તેમની સાયકલ યાત્રા અને વૃક્ષારોપણ અભિયાનનો જન્મ થયો છે. તેઓ માને છે કે દેશનો દરેક નાગરિક એક વૃક્ષ વાવે તો ભવિષ્ય વધુ સુરક્ષિત અને હરિયાળું બની શકે.

