સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ જામનગરમાં લાભાર્થીઓને વિનામૂલ્યે ટ્રાયસાઇકલ આપવામાં આવી
જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ અને ગતિશીલ બનાવવાના હેતુથી એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૩૦ દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલ (મોટરચાલિત ત્રણ પૈડાવાળી સાયકલ) નું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને શારીરિક નિર્ભરતામાંથી મુક્તિ અપાવી તેમને સમાજમાં ગૌરવભેર હરતા-ફરતા કરવાનો છે.
૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સહાય
ગુજરાત સરકારની વિશિષ્ટ કલ્યાણકારી યોજનાઓ હેઠળ, જે વ્યક્તિઓ ૬૦ ટકા કે તેથી વધુ હલનચલનની દિવ્યાંગતા ધરાવે છે, તેમને આ અત્યાધુનિક વાહન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ મોટરચાલિત સાયકલ મળવાથી દિવ્યાંગોને હવે લાંબા અંતરની મુસાફરી કરવા માટે કે રોજગારી અર્થે બહાર જવા માટે અન્ય કોઈના સહહારાની જરૂર પડશે નહીં. આ સાધન તેમના દૈનિક જીવનમાં સ્વાવલંબન લાવવા માટે એક મજબૂત માધ્યમ સાબિત થશે.
વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહન
આ વિતરણ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ રામાણી અને ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારનો લક્ષ્યાંક દિવ્યાંગોને માત્ર સાધન આપવાનો જ નહીં, પરંતુ તેમને સમાજની મુખ્યધારામાં સક્રિયપણે જોડવાનો છે. આવા મોબિલિટી સાધનોથી દિવ્યાંગ વ્યક્તિઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાના પરિવારનો ટેકો બની શકે છે.
આત્મનિર્ભરતાના પંથે દિવ્યાંગોનો હર્ષોલ્લાસ
વાહન સહાય મેળવ્યા બાદ લાભાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો. અનેક લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, આ મોટરચાલિત સાયકલ તેમના માટે આશીર્વાદ સમાન છે, કારણ કે હવે તેઓ સરળતાથી બજાર, ઓફિસ કે શૈક્ષણિક સંસ્થાઓમાં અવરજવર કરી શકશે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા આવા સશક્તિકરણના કાર્યોથી દિવ્યાંગોના જીવનમાં ખરા અર્થમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને તેઓ આત્મનિર્ભરતાના પંથે આગળ વધી રહ્યા છે.
