ગાંધીનગર માં રહેતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલના સેક્ટર-8માં આવેલ બંગલામાં બે દિવસ અગાઉ જ નોકરી ઉપર રાખેલા ઘરઘાટી નેપાળી દંપતી મધરાત્રે સોનાના દાગીના રોકડ રકમ, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસ ડોલર સહિત રૂ. 5.47 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા
ગાંધીનગરના સેક્ટર-8 બી પ્લોટ નંબર 325 ખાતે રહેતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલ શૂટિંગના કામ અર્થે મુંબઈ ગઈ હતી, અને તેનો ભાઇ જનક સેક્ટર-3માં તેની સાસરીમાં ગયો હતો ત્યારે વૃદ્ધ દંપતી ઘરમાં એકલાં જ હતાં જેનો લાભ ઉઠાવીને મધરાતે નેપાળનું ઘરઘાટી દંપતિ મૌલિકા અને જનકના રૂમના કબાટના તાળા તોડી ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયું હતું.
મૌલિકાના 62 વર્ષીય માતા અલકાબેને જણાવ્યું હતું કે, છેલ્લા દસેક વર્ષથી તેઓ ના બંગલામાં ડુંગરપુરને હાલ ઇન્દ્રોડામાં રહેતું દંપતિ ઘરઘાટી તરીકે કામ કરતું હતું પરંતુ તેમણે નોકરી છોડી દેતા કામની અગવડ પડતી હતી આથી વૃદ્ધ માતા-પિતાને ઘરના દૈનિક કાર્યોમાં તકલીફ પડતી હોવાથી મૌલિકાએ અમદાવાદના તેના એક ઓળખીતાને ઘરઘાટી રાખવાની વાત કરી હતી. જેમની ભલામણથી નેપાળના ભરત અને લક્ષ્મીને કામ અર્થે રાખ્યા હતા અને ઘરઘાટી દંપતિને બંગલાની પાછળ રહેવા માટે ફાઇબર શેડ વાળી ઓરડી પણ આપી હતી. જોકે ઘરઘાટીને નાવા ધોવા માટે તકલીફ ના પડે તે માટે રસોડાનો દરવાજો ખુલ્લો રાખવામાં આવતો હતો.
મૌલિકા પટેલનાં અમદાવાદના એક ઓળખીતાના રેફરન્સથી નેપાળી દંપતિ ઘરઘાટી તરીકે આવ્યું હોવાથી પરિવારે વિશ્વાસ રાખ્યો હતો. જોકે, મૌલિકા મુંબઈ ગયેલી અને જનક સેક્ટર-3 માં સાસરીએ ગયો હતો ત્યારે વૃદ્ધ દંપતી બંગલામાં એકલાં જ હતાં અને વૃદ્ધ દંપતી બંગલાના મુખ્ય રૂમમાં સુઈ ગયા હતા ત્યારે ઘરઘાટી ભરતે આવીને પૂછેલું કે સવારે કેટલા વાગે ઉઠાડવા માટે આવું? બાદમાં મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં અલકાબેનની આંખ અચાનક ખુલ્લી ગઈ હતી ત્યારે કામવાળી લક્ષ્મીનો પડછાયો પણ જોયો હતો જેથી તે લઘુશંકા માટે ઉઠી હશે એમ માનીને અલકાબેન પાછા સૂઈ ગયા હતા અને રાત્રે ફરી 2:30 વાગે અલકાબેનની આંખ ખુલી અને મૌલિકા તથા જનકના રૂમનાં કબાટના સામાન વેરવિખેર જોઈ પતિને જગાડ્યા હતા, પરંતુ બન્નેને ડિપ્રેશનની દવા ચાલતી હોવાથી પાછા સૂઈ ગયા હતા. સવારે સાડા સાતના અરસામાં મૌલિકા ઘરે પરત આવી ત્યારે સામાન વેરવિખેર જણાયો હતો. ઘરમાં સામાનની ચકાસણી કરતાં, ચાંદીની લગડી, સોનાના દાગીના, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસની કરસન્સી તથા રોકડ સહિત કુલ રૂ.5.47 લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું જોકે, પરિવારને ઘરઘાટી બાબતે નામ સિવાય કોઈ અન્ય જાણકારી નહી હોવાથી મામલો પેચીદો બન્યો છે. આ ઘટના માં પોલીસ તપાસ કરી રહી છે.