ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા સંક્રમણ અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની નીતિ ફરીથી લાગુ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસ દરમ્યાન શહેરના અલગ અલગ નવ જેટલા વિસ્તારોમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી પ૮થી વધુ મકાનોને આ ઝોનમાં મુકીને વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.રાજયમાં ગત માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૃ થયું છે અને તેને અટકાવવા માટે લોકડાઉન સુધીના પગલાં ભરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આપવામાં આવેલી વિવિધ છુટછાટોના પગલે આ માર્ચ મહિનામાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેના કારણે તંત્ર દ્વારા જુની નીતિઓને ફરીથી અખત્યાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને હવે અગાઉની જેમ કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહયા છે.
કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારમાં વધેલા કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની નીતિ અમલમાં મુકવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસમાં કોર્પોરેશને સે-રમાં ૧ર, સે-૪માં ર૦, સે-૭માં ૮, સે-૧૩માં ૮, સે-ર૬માં ૪ અને ઈન્ફોસીટી વિસ્તારમાં છ જેટલા મકાનોને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકયા છે. અહીં તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. અને તેનું ઉલ્લંઘન કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવા પણ મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે આ વખતે સમગ્ર સેકટરોને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા નથી અને જે સેકટરમાંથી કોરોનાનો દર્દી જણાય તેના આસપાસના બે ચાર મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.