અસમમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ: ગૌરવ ગોગોઈએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર વળતો પ્રહાર કર્યો
અસમના રાજકારણમાં ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ થયા છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા તેમની પર લગાવવામાં આવેલા પાકિસ્તાન કનેક્શન અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આરોપોનું જોરદાર ખંડન કર્યું છે. ગોગોઈએ આ મામલે સુપ્રીમ કોર્ટને સુઓમોટો (સ્વતઃ સંજ્ઞાન) લેવા માટે વિનંતી પણ કરી છે.
ગૌરવ ગોગોઈનો વળતો પ્રહાર
ગૌરવ ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમના પરિવાર અને બાળકોની માહિતી મીડિયામાં લીક કરી દીધી છે, જે એક “નીચ અને અસ્વીકાર્ય” કૃત્ય છે. તેમણે ઉમેર્યું કે આનાથી સાબિત થાય છે કે સરમા મુખ્યમંત્રી પદ માટે લાયક નથી. ગોગોઈએ કહ્યું, “તેમની પ્રેસ કોન્ફરન્સ અને આરોપો અસમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, તો તેઓ છ મહિના સુધી કેમ મૌન રહ્યા?” તેમણે એ પણ ઉમેર્યું કે SIT ના રિપોર્ટમાં કોઈ પણ આરોપના નક્કર પુરાવા સામે આવ્યા નથી.
SIT ના નિષ્કર્ષ રિપોર્ટ પર સવાલ
ગોગોઈએ સવાલ ઉઠાવ્યો હતો કે છ મહિના સુધી રિપોર્ટ છુપાવીને કેમ રાખવામાં આવ્યો અને SIT કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોળ-ગોળ વાતો કરી હતી અને કોઈ પણ તથ્ય સામે રાખ્યું નથી.
ગેરકાયદે જમીન કબજાના આરોપ
આ ઉપરાંત, ગોગોઈએ મુખ્યમંત્રી અને તેમના પરિવાર પર અસમની 12,000 વીઘા (આશરે 4,000 એકર) જમીન પર ગેરકાયદે કબજો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે SIT દ્વારા આ બાબતે સંપૂર્ણ તપાસ કરવાની અને રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરી છે.
આ મામલો અસમના રાજકારણમાં પહેલેથી જ ચાલી રહેલા તણાવમાં વધુ વધારો કરી શકે છે. વિશ્લેષકો માને છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વતઃ સંજ્ઞાન અથવા તપાસના આદેશથી રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ શકે છે.

