વઢવાણ શહેરમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.ત્યારે હવે શાકમાર્કેટમાં પશુઓ અડીંગો જમાવી વેપારી તેમજ ગ્રાહકોને અડફેટે લઇને ઇજા કરતા લોકોમા રોષ ફેલાયો છે. આ પશુઓએ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફેલાવેલો ત્રાસ દૂર કરવા લોકમાંગ ઉઠી છે.
…વઢવાણ શહેરની માર્કેટ એ તાલુકાના ગ્રામ્યજનો માટે હટાણું મુખ્ય સેન્ટર ગણવામાં આવે છે. આથી મહિલા સહિતના લોકો મોટી સંખ્યામાં શાકભાજી લેવા ઉમટી પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્કેટમાં પશુઓનાં અડીંગાઓથી શાકભાજીના વેપારીઓ તેમજ શાકભાજી ખરીદનાર મહિલાઓ પરેશાની ભોગવી રહ્યાં છે. આ અંગે રેખાબેન, લતાબેન, વાલીબેન, પ્રકાશભાઈ વગેરે જણાવ્યું કે, શિયાણીપોળનાં બંને દરવાજાઓની અંદર સવારથી રખડતા પશુઓનાં ત્રાસ શરૂ થઇ જાય છે. જેમાં એકબાજી પશુઓ સામસામે આવી જતાં લોકોને ઇજાઓનો ભોગ બનવુ પડે છે. આ ઉપરાતં વાહન લઇને પસાર થતા વાહનચાલકોને પણ આ પશુ અડફેટે ચડવાના બનાવો વધ્યા છે. ત્યારે મોડી સાંજ સુધી આ શાકમાર્કેટને બાનમાં લેતા પશુઓને પકડીને અહીંથી દૂર કરવા જવાબદાર તંત્રે યોગ્ય કાર્યવાહીની લોકોમાં લાગણી અને માંગણી ઉઠી છે.