કચ્છ યુનિવર્સિટી સહિતની કોલેજોના 220 વિદ્યાર્થીઓએ ટકાઉ જીવનશૈલી વિષયક કાર્યશાળામાં લીધો ભાગ
ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા કચ્છના નખત્રાણા સ્થિત છારીઢંઢ વેટલેન્ડ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “ટકાઉ જીવનશૈલી પદ્ધતિઓ” વિષય પર આધારિત આ કાર્યશાળા ૧૪ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જૈવિક વિવિધતા પ્રત્યે સમજ કેળવવાનો અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે તેમને તૈયાર કરવાનો હતો.
૨૨૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું પર્યાવરણલક્ષી માર્ગદર્શન
આ તાલીમ કાર્યશાળામાં ભુજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે કચ્છ યુનિવર્સિટી, સરકારી ઇજનેરી કોલેજ, લાલન કોલેજ અને મુક્તજીવન ગર્લ્સ કોલેજના અંદાજે ૨૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી અને રોજિંદા જીવનમાં ટકાઉ પદ્ધતિઓ કેવી રીતે અપનાવવી તે અંગે નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની વિવિધ થીમ પર ચર્ચા
કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓને જૈવિક ખેતી, પુનઃપ્રાપ્ય ઉર્જા, ઉર્જા સંરક્ષણ અને શહેરી બાગાયત જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અને ટકાઉ જીવનશૈલી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષયો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે નાની એવી જાગૃતિ પણ પર્યાવરણમાં મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.
બાયોડાયવર્સિટી વોક અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન
માત્ર થીયરી જ નહીં પરંતુ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ દ્વારા પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું હતું. કેમ્પસમાં ‘બાયોડાયવર્સિટી વોક’, સ્વચ્છતા અભિયાન અને ઈકો-પોસ્ટર ડિઝાઇન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રસંગે કચ્છના નાયબ વન સંરક્ષક જે.આર. પટેલ અને પક્ષીવિદ કૌશિકભાઈ ઘેલાણી સહિતના મહાનુભાવોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રકૃતિ સાથે જોડાવા આહવાન કર્યું હતું.
