જમીન સ્વાસ્થ્ય અને પાક સંરક્ષણ પર ભાર: GNFSU હાલોલમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ
હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) ખાતે મધ્ય ગુજરાતના વડોદરા ઝોનના પાંચ જિલ્લાના ‘આત્મા’ (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ૪૫ જેટલા કૃષિ નિષ્ણાતો અને મદદનીશોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પ્રાકૃતિક ખેતીના પાંચ પાયા અને પ્રાયોગિક શિક્ષણ
યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાંત ગુર્જરે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો પર ભાર મૂક્યો હતો. તાલીમ દરમિયાન સ્ટાફ પાસે પ્રાયોગિક ધોરણે જીવામૃત બનાવડાવવામાં આવ્યું હતું જેથી તેઓ ફિલ્ડ પર જઈને ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપી શકે.
-
પંચસ્તરીય મોડેલ: એક જ જમીન પર અલગ-અલગ ઊંચાઈ ધરાવતા પાકો લેવાની પદ્ધતિ (Multi-layer farming) વિશે સમજૂતી અપાઈ.
-
આર્થિક ફાયદા: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે પાકોની યોગ્ય પસંદગી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વૈજ્ઞાનિક અભિગમ અને પાક સંરક્ષણ
બપોર પછીના સત્રમાં નિષ્ણાત વૈજ્ઞાનિકો દ્વારા જમીન અને પાકની સુરક્ષા અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી:
૧. જમીનનું સ્વાસ્થ્ય: ડૉ. અલ્પેશ ભીમાણીએ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ ખેતીમાં કેવી રીતે મિત્ર તરીકે કામ કરે છે અને ફળદ્રુપતા વધારે છે તેની વૈજ્ઞાનિક માહિતી આપી.
૨. કુદરતી કીટનાશકો: ડૉ. ધારા પ્રજાપતિએ ખેતીમાં આવતી જીવાતોના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિશાસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરવાની રીત શીખવી હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ કૃષિ વિભાગના સ્ટાફને સજ્જ કરવાનો છે, જેથી તેઓ છેવાડાના ખેડૂત સુધી પહોંચીને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરી શકે.
