આજે મહાશિવરાત્રી ના મહાપર્વ દીને જૂનાગઢમાં આવેલી ભવનાથ તળેટી માં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઇ રહયા છે. મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી લોકમેળાની શરૂઆત કરવામાં આવી છે. આજે શિવરાત્રિના દિવસે અંદાજે 10 લાખ ભક્તો અહીં આવી પહોંચ્યા છે અને બમબમ ભોલે ના જયઘોષ થી વાતાવરણ ભક્તિમય બન્યું છે.
ભવનાથ તળેટીનું મુખ્ય આકર્ષણ ભવનાથ મહાદેવનું મંદિર છે. આ મંદિરમાં સ્વયંભૂ ‘ભવનાથ મહાદેવ’નું શિવલિંગ છે. આ ઉપરાંત અન્ય એક શિવલિંગ ચિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે તેવી માન્યતા છે. પૌરાણિક સમયમાં આ શિવાલય ‘ભવેશ્વર’ના નામે ઓળખાતું હતું. ભવનાથ મહાદેવનો ઉલ્લેખ ‘સ્કંદપુરાણ’માં પણ જોવા મળે છે. આ ઉપરાંત મંદિરમાં અનેક દેવી-દેવતાઓના નાના-નાના મંદિર છે અને મૃગીકુંડ પણ આવેલો છે. મહાશિવરાત્રિના તહેવારમાં અહીં તળેટીમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જેમાં સમગ્ર દેશમાંથી સાધુઓ, દિગંબર સાધુઓ સહિત સાધ્વીઓ અને ભાવિકો ભાગ લે છે. આ ઉપરાંત દેશ-વિદેશના લોકો અહીં આવી આ મેળો માણે છે.
વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર ભવનાથ તળેટીમાં આવેલું છે. ભવનાથ મહાદેવના મંદિરની સામે જ વસ્ત્રાપથેશ્વર મહાદેવ બિરાજમાન છે. ‘સ્કંદપુરાણ’ પ્રમાણે એકવાર મહાદેવ પત્ની પાર્વતીથી રિસાઈ જાય છે અને અહીં ભવનાથમાં આવે છે. અહીં આવીને મહાદેવ અદૃશ્ય થઈ જાય છે અને તેમના કપડાં અહીં પડી જાય છે. પછી માતા પાર્વતી સહિત તમામ દેવો મહાદેવને શોધતા-શોધતા ભવનાથ તળેટીમાં આવે છે. બહુ પ્રયત્નો છતાં મહાદેવ મળતા નથી. ત્યારે માતા પાર્વતી મહાદેવની સ્તુતિ કરે છે અને ભોળાનાથ તેમના ભોળા સ્વભાવ પ્રમાણે પ્રગટ થાય છે. આમ, મહાદેવ પોતાના વસ્ત્રો જે જગ્યા પર ઊતારીને મૂકે છે. ત્યાં જગ્યા ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ આ ક્ષેત્રના અધિપતિ ગણાય છે.
આમ પૌરાણિક મહત્વ ધરાવતા ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.