રાજ્યમાં વાદળીયું હવામાન અને ભારે પવનો ફૂંકાઈ રહયા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ છે ત્યારે રાજ્યમાં વાવાઝોડાનો ખતરો ઉભો થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને બદલાઈ રહેલા હવામાન ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.
લક્ષદ્વીપ નજીક હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની પ્રારંભિક દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે.
આગામી તા.12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતનાં બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી બે નંબર સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયા છે.
જેમાં કચ્છનાં તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છનાં પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને તંત્ર એલર્ટ છે.