ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ સામે કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
તેઓએ કહ્યું હતું, કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ લવ જેહાદની ઘટના બને ત્યારે સરકાર કડક કાર્યવાહી કરશે.
લવ જેહાદની ઘટનામાં ઘણી વખત પિડિતના પરિવારજનો ફરિયાદ કરવા માટે આગળ નથી આવતા ત્યારે આવા કિસ્સામાં પીડિતના પરિવારજનો ફરિયાદ ન કરે તો હવે પોલીસ અને સરકાર ફરિયાદ દાખલ કરીને કડક પગલાં ભરશે.
વડોદરા શહેરમાં જનસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રમાણે નિવેદન આપ્યું હતું અને ઉમેર્યું કે નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર છે અને આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
સાથેજ સમગ્ર રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ અલગ અલગ વિસ્તારની લારી પર પણ ફરી ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે.
આગામી લોકસભાની ચૂંટણી અંગેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ પૂરી રીતે તૈયારીમાં છે અને તમામ બેઠકો ભાજપ જ જીતશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 10માં ઘર ઘર સંપર્ક, જન સંપર્કના કાર્યક્રમમાં જોડાયા હતા.