ગુજરાતમાં આજકાલ રાજકારણ ચરમસીમા પર છે.ગુજરાતમાં બે મુખ્ય પક્ષ સાથે ત્રીજા પક્ષ તરીકે આપે પણ મજબૂત એન્ટ્રી મારી છે.ત્રણે પક્ષ અત્યારે યાત્રાના મૂડમાં છે.એક તરફ સરકાર તરફથી સરકારના ગુણગાન ગાતી ‘જન આશીર્વાદ યાત્રા’ ચાલી રહી છે.જેના વિવિધ કાર્યક્રમોમાં સી એમ રૂપાણી ડેપ્યુટી સી એમ નીતિન પટેલ સહીત ભાજપના મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. આ યાત્રા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા,.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની,દર્શના બહેન જરદોશ,દેવું સિંહ ચૌહાણ સહીત મોટા નેતાઓ સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં યોજાઈ રહી છે.
બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગત તારીખ 16 ઓગસ્ટથી ‘ન્યાય યાત્રા’નું આયોજન થયું છે.આ અંગે થયેલ એક બેઠકમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોરોના મહામારી મુખ્ય મુદ્દો રહેશે તેવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે તો વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરતા સ્મશાનની ભઠ્ઠીઓ પીગળી ગઈ, પરંતુ સરકારનું હૃદય પીગળ્યું નથી. કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો બે મહિના સુધી રાજ્યના ૧૮ હજાર ગામડાઓ ખુંદીને મૃતકોની યાદી તૈયાર કરશે. કોંગ્રેસના આગેવાનો કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ઘરે ઘરે જશે અને તેમનું વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવાશે.
ત્રીજી તરફ આમ આદમી પાર્ટી પણ એની જન સંવેદના મુલાકાત લઈને મેદાનમાં છે.આમ આદમી પાર્ટી દ્વારા પણ જન સંવેદના મુલાકાત દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન ચાલી રહ્યું છે.આમ આદમી પાર્ટી ના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,હમણાં જ જોડાયેલ ઈશુદાન ગઢવી અને અન્ય નેતાઓ દ્વારા ગામે ગામ ફરી કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન ચાલી રહ્યું છે .આ મુલાકાતના કાર્યક્રમમાં તે સરકાર પર ટીકાનો વરસાદ વરસાવી રહી છે.આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી છે.અને સરકાર કાર્યક્રમો યોજી ક્યાં આશીર્વાદ લેવા જાય છે ? એમની માંગ છે કે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મૃતકના પરિવારને 1 લાખ આપવામાં આવે.
આમ ત્રણે પક્ષ અત્યારે તો પ્રજા વચ્ચે ફરી રહ્યા છે.ત્રણે પક્ષ પ્રજાહિતની વાત કરી રહ્યા છે ત્યારે જોઈએ કે આગામી ચૂંટણીમાં ક્યાં પક્ષને કેટલો પ્રજામત મળે છે.અને પ્રજા ક્યાં પક્ષની સંવેદનાનો સ્વીકાર કરી એને સત્તાસ્થાને બેસાડે છે.