નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ દ્વારા ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની જાહેરાત થયા બાદ આ વિસ્તારમાં જમીનોના ભાવ રાતોરાત વધી ગયા અને આ તકનો લાભ લઈને જમીન-માફિયાઓએ સરકારી માલિકીની જમીનોનો બારોબાર સોદો કરીને કરોડો રૂપિયા ગજવે ઘાલ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
આ કરોડાના કૌભાંડમાં રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને જમીન-માફિયાઓએ ધોલેરામાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસનાં ગામમાં વર્ષ 2014થી લઇ 2021 સુધીના ગાળામાં 100 કરોડ રૂપિયાથી વધુની 6થી 7 લાખ ચો.મીટર સરકારી જમીન વેચી દીધી મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ કૌભાંડની જાણ હોવા છતાં છાવરવાના પ્રયાસો થયાનું ચર્ચાઈ રહ્યું છે, વાત તો એવી પણ છે જો ગામતળની માપણી કરવામાં આવે તો વધુ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ ધોલેરામાં ખરીદેલી જમીન સરકારી હશે તો જે લોકોએ નાણાંનું રોકાણ કર્યું છે તે ચોક્કસપણે ડૂબશે તેમ સુત્રોનું કહેવું છે.
આ કૌભાંડ બહાર આવતાંજ કેટલીક કંપનીઓએ દસ્તાવેજો રદ કર્યા હોવાની વાતો પણ સંભળાઈ રહી છે.
આ ગોબાચારીમાં સબરજિસ્ટ્રારે મહેસૂલી રેકોર્ડ ચકાસ્યા વિના જ દસ્તાવેજ નોંધ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
દરમ્યાન સરકારના આદેશ બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે, જેમાં સ્થાનિક પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે. સરકારી ચોપડે ભૂમાફિયા દ્વારા અંદાજે 4,60,358 ચો.મી. જમીન એક અને એક કરતાં વધુ વખત વેચાણ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
ખૂણગામની આકારણી રજિસ્ટર પત્રકની ચકાસણીમાં 52 અને ભીમતળાવમાં 27 વ્યક્તિના આકારણી રજિસ્ટરમાં ગામતળની ઘરથાળની ખુલ્લી જમીન, ગામતળની ખુલ્લી જમીન, ગૌચર જમીન, વાડો, વંડો હેઠળ નોંધાયેલી છે. આ જમીનોનું ભૂમાફિયા દ્વારા ગેરકાયેદ રીતે ખૂણગામમાં 2,89,329 ચો.મી. અને ભીમતળાવ ગામમાં 1,71,027 ચો.મી. મળી અંદાજે 4,60,358 ચો.મી. જમીનનું એક અને એક કરતાં વધુ વખત વેચાણ કરાયું હોવાની વાત સામે આવી છે.
ધોલેરામાં જમીન માફિયાઓ છેલ્લા કેટલાય સમયથી કામે લાગ્યા હતા અને મોટું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે જો પ્રામાણિક પણે તપાસ થાયતો અનેક નામો ખુલવાની શક્યતા છે.