ગાંધીનગર— ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના બે સભ્યોએ મતદાન નહીં કરીને ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડી દીધા છે. છોટુ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ઘર ભેગા કર્યા છે.
બીટીપીના છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે નિવેદન આપ્યું કે અમે ભાજપને પણ જણાવ્યું છે અને કોંગ્રેસને પણ જણાવીએ છીએ કે અમારી માંગણી સંતોષાઈ નથી. તેથી અમે કોઈપણ પક્ષને મત આપવાના નથી. બીટીપી પક્ષનાં બન્ને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી અળગા રહ્યા. બન્ને પક્ષો સાથેની મંત્રણા રહી નિષ્ફળ રહી છે.
કોંગ્રેસે બે વખત છોટુ વસાવા અને મહેશ વસાવાને મતદાન કરવા મનાવવા પ્રયાસો કર્યા હતા. ભાજપે પણ આ બંને નેતાઓને મનાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ભાજપ-કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જોકે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે ભાજપે બીટીબીના બંને ધારાસભ્યોને મતદાન ન કરવા દીધું નથી.
ભરતસિંહે હાર સ્વીકાર કરીને મતદાન પૂર્ણ થવાના એક કલાક પહેલા જ તેઓ તેમના રૂમમાં જતા રહ્યા હતા. અને તેમની સાથે માત્ર પરેશ ધાનાણી જ હાજર હતા.ભરતસિંહ અને તેમના સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી. ભરતસિંહે બપોરના ભોજનનો પણ ત્યાગ કર્યો હતો.રાજ્યસભામાં કુલ 172 માંથી 170 મત પડ્યા છે. ભાજપના નરહરિ અમીનનો 33 મતે વિજય નિશ્ચિત બન્યો છે. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં જશે