રાજ્યમાં દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા છે અને સિંચાઈ ની વાત તો દૂર પણ હવે પીવાના પાણી ની સમસ્યા ભર ચોમાસે જ ચાલુ થઈ ગઈ છે. તંત્ર દ્વારાજ મળેલા આંકડાઓ મુજબ હાલ ચોમાસાની સિઝનમાં ચાર જિલ્લાના આઠ તાલુકા માં આવેલ 23 ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ હોવાની હકીકત સામે આવી છે હાલ માં 13 ટેન્કર દ્વારા રોજના 56 ફેરા મારી પીવાનું પાણી ગામડાઓ માં પહોંચાડવા માં આવી રહ્યું છે.
રાજ્યમાં અડધું ચોમાસુ નીકળી ગયુ હોવાછતાં અત્યાર સુધી માં માત્ર 42 ટકા જ સરેરાશ વરસાદ નોંધાયો છે અને 22 તાલુકાઓમાં હજૂ પણ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગયા વર્ષે તો અત્યારસુધી માં સરેરાશ 108 ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના દૈનિક રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 4 જિલ્લાના 8 તાલુકાના 23 ગામો માં ભર ચોમાસે જ પાણી ની વિકટ સમસ્યા સર્જાતા આ ગામો માં ટેન્કર થી પાણી પૂરું પાડવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્રારકાના 23 ગામોમાં 13 ટેન્કો દ્વારા રોજના 56 ફેરાઓ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં 3 તાલુકાઓમાં 11 ગામ, સુરેન્દ્રનગરમાં 2 તાલુકામાં 3 ગામ, કચ્છમાં 2 તાલુકાના 7 ગામ, દેવભૂમિ દ્રારકામાં એક તાલુકાના 2 ગામોમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ 27 ફેરા કરવામાં આવે છે. બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના 12-12 ફેરા થાય છે. ભૂજ તાલુકાના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે દૈનિક 8 ફેરા કરવામાં આવે છે. ભૂજ તાલુકાના જ ધ્રોબાણા ગામમાં રોજના 7 ફેરા મારવામાં આવી રહયા છે.
આ થઈ વાત સરકારી આંકડાની પણ ખાનગી ટેન્કર મારફતે પણ પાણી ની માંગ વધી હોવાના અહેવાલો છે.
આમ ભર ચોમાસે જ જો પીવાના પાણી ના ટેન્કર ચાલુ થઈ જતા હોય તો જો વરસાદ નહીં પડે તો શિયાળા અને ઉનાળામાં કેવી સ્થિતિ ઉભી થશે અને પશુઓ ના શુ હાલ થશે તે ચિંતા લોકો માં જોવા મળી રહી છે કારણ કે પશુઓ માટે ઘાસચારો અને પીવાનું પાણી નહિ હોય આગામી દિવસો માં પશુઓ ના નિભાવ ની પણ ચિંતા છે અને રાજ્યમાં દુષ્કાળ અને ઉપર થી મોંઘવારી ના માર ને લઈ શહેરો માં પણ રહેવું પોષાય તેમ ન હોય લોકો ની મુશ્કેલીઓ વધી ગઈ છે.