લીમડી રાજમહેલમાં એન્ટીક વસ્તુઓની ચોરી કરનારા છ ઈસમો ઝડપાયા,વઢવાણ અને ધ્રાંગધ્રાના રાજમહેલમાં પણ કરી હતી ચોરી
સુરેન્દ્રનગરના લીંબડી સ્ટેટના રાજવી પરિવારની માલિકીના દિગભુવન રાજમહેલમાં ફેબ્રુઆરીમાં થયેલી કુલ ૫૬ કિલો ચાંદી તેમજ એન્ટીક વસ્તુઓની ચોરીનાબનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે અને સુરેન્દ્રનગર LCB પોલીસે રાજમહેલમાં ચોરી કરનાર ધ્રાંગધ્રાના ૬ ઈસમોને કુલ રૂપિયા ૨૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
લીંબડી ખાતે આવેલ રાજવી પરિવારના રાજમહેલમાંથી અંદાજે ૫૬ કિલો ચાંદી તેમજ અન્ય એન્ટીક વસ્તુઓની ચોરી થતાં લીંબડી સહીત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. રાજવી પરિવાર દ્વારા ફરિયાદ થતા સુરેન્દ્રનગર જિલ્લા LCB દ્વારા તપાસ શરૂ થઈ હતી.
દરમિયાન ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર રહેતા ૬ શખ્સો પાસે ચોરી કરેલો કિંમતી મુદ્દામાલ હોવાની બાતમી મળતા પોલીસે તમામ શખ્સોને ઝડપી લઈ તપાસ કરતા આરોપીઆે પાસેથી ૨૯ કિલો ચાંદી, રોકડ રકમ રૂપિયા ૬,૪૫,૬૭૦ તેમજ ચાંદીના તારવાળા રજવાડી કાપડ,ઘડીયાળો સહીત કુલ રૂપિયા ૨૪,૦૮,૩૯૦ નો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે લીધો હતો.
ઝડપાયેલા ઈસમોમાં કાટીયો નરશીભાઇ વિરમગામીયા,કમલેશ નરશીભાઇ વિરમગામીયા,
કાયો પોપટભાઇ કુંઢીયા,દિલીપ પોપટભાઇ કુંઢીયા,સંજય પભાભાઇ ધ્રાંગધરીયા,સુરેશ પોપટભાઇ કુંઢીયાનો સમાવેશ થાય છે.
આ તસ્કર ગેંગે ફેબ્રુઆરી માસ દરમિયાન અલગ અલગ ૮ દિવસોમા ૮ વાર મહેલમાં પ્રવેશ કરી લોખંડના કટર વડે મહેલની બારીની ગ્રીલ કાપી ચોરીને અંજામ આપ્યો હતો. મહેલમાંથી ચોરી કરેલી વસ્તુઓ પૈકી ૧૫ કિલો ચાંદીની વસ્તુઆે અમદાવાદના અરૂણ વજુ વિરમગામીયાને વેચી હતી.
જ્યારે બીજી વસ્તુઓ ચાંદીની એન્ટીક વસ્તુઓ હોય તેનાં વધારે રૂપિયા મેળવવા તસ્કર ગેંગના મુખ્ય સુત્રધાર કાટીયો નરશી વિરમગામીયા તથા અમદાવાદ નો અરૂણ વજુ વિરમગામીયા પ્લેનમાં દિલ્હી અને મુંબઇ સુધી જઇ આવ્યા હતાં. જેમાં દિલ્હીમા ખીમાબેન શ્રવણ તાજપરીયાને ૪ કિલો ચાંદીની વસ્તુઓ રૂપિયા ૧,૪૦,૦૦૦ માં વેચી હોવાનું ખુલ્યું હતું.
ઝડપાયેલા તમામ ઈસમો રીઢા ગુનેગારો છે અને અનેકવાર જેલની હવા ખાઇ ચુક્યા છે ઉપરાંત ચોરી, મારામારી, પ્રોહિબીશન સહીતના ગુનાઓ સામેલ હોવાનું ખુલ્યુ છે ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર બે વ્યક્તિઓ સામે પણ પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલ આ તસ્કર ટોળકીની પુછપરછમાં આરોપીઓએ વઢવાણ અને ધ્રાંગધ્રાના રાજમહેલમાં પણ ચોરી કરી હોવાનું ખુલવા પામેલ છે.