વડોદરા નજીક વરણામા-ઈંટોલા વચ્ચે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ઓટોમેટીક ફાયર એલાર્મ રણકી ઉઠતા ટ્રેનના કર્મચારીઓ સહિત ટ્રેનમાં હાજર એક હજાર જેટલા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
ટ્રેનમાં ફાયર એલાર્મ આગ લાગવાની ઘટનામાં વાગતું હોવાથી ટ્રેનને તરત જ અટકાવી દેવામાં આવી હતી અને ટ્રેનમાં હાજર ટેકનીકલ સ્ટાફ દ્વારા તપાસ શરૂ થતાં ટ્રેનમાં હયાત ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટમાં તપાસ કરતા સર્કિટ સાથે એક ઉંદર ચોંટી ગયો હોવાનું જણાઇ આવ્યું હતુ અને ઉંદરના મોતને પગલે ધુમાડો નીકળતા એલાર્મ રણકી ઊઠ્યું હોવાનું સામે આવતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. ટ્રેનમાં આગ નહીં લાગી હોવાનું સામે આવતા અધિકારીઓમાં પણ હાશ થઈ હતી અને આખરે 14 મિનિટ બાદ ટ્રેનને ફરી રવાના થઈ હતી.
સમગ્ર ઘટના બુધવારની છે અને વૈષ્ણોદેવીથી બાંદ્રા જઈ રહેલી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં સવારે 10:55 વાગ્યાના અરસામાં અચાનક ફાયર એલાર્મ રણકી ઊઠ્યું હતું. જેને પગલે થર્ડ એસીના બી-5 કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને આગ લાગી હોવાનું જણાતા ગભરાટ ફેલાયો હતો.
જોકે, અગમચેતીના ભાગરૂપે તુરંત વરણામા-ઇંટોલા વચ્ચે ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી.
ટ્રેનમાં હયાત ઈલેક્ટ્રિક એટેન્ડન્ટે બાથરૂમ પાસે આવેલી સર્કિટમાં તપાસ કરતાં કારણ અલગ જ જોવા મળ્યું હતું. ઈલેક્ટ્રિક એટેન્ડન્ટ દ્વારા સર્કિટમાં ચેક કરાતાં સર્કિટ સાથે એક ઉંદર ચોંટી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. ઉંદરના મોતને પગલે ધુમાડો શરૂ થતાં એલાર્મ રણકી ઊઠ્યું હોવાનું સામે આવ્યું હતું.
ટ્રેનમાં આગ લાગવા જેવી ઘટના બને તો સ્પ્રિન્કલર પણ તુરત ચાલુ થઈ જતાં હોય છે.
ટ્રેનમાં સ્પ્રિન્ક્લર ચાલુ થઈ જાય તે પહેલાં જ ધુમાડાને બંધ કરી દેવાયો હતો.
રેલવેના પીઆરઓ પીન્ટુ ગીલ દ્વારા જાણવા મળ્યા મુજબ ધુમાડો નીકળતાની સાથે જ એલાર્મ વાગતું હોય છે અને ત્યારબાદ 4 સેકન્ડ પછી સ્પ્રિન્ક્લરમાંથી પાણી નીકળતું હોય છે. જોકે ગણતરીની મિનિટમાં તમામ કામગીરી કરી દેવામાં આવી અને ટ્રેનને ફરી રવાના કરાઈ હતી.