સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું છેલ્લા આઠ વર્ષથી કામ ચાલુ છે પણ હજુ સુધી કામ પૂર્ણ નહિ થતા લોકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે અહીં ચાલતા કામની આકસ્મિક મુલાકાત લેવા માટે પહોંચેલા કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા બરાબરના ભેરવાયા હતા.
મહેન્દ્ર મુજપરા જેવા બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા કે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને ઉગ્ર રજૂઆતો કરવાનું શરૂ કરતાં મંત્રીએ જવાબ આપવાનો ભારે પડ્યો હતો અને આખરે ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. આ ઘટના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કરતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો લોકો કહેતા હતા કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું આ તે કેવું નવનિર્માણ ચાલી રહ્યું છે કે જે છેલ્લાં 8 વર્ષથી પૂરું થવાનું નામ નથી લેતું. સુરેન્દ્રનગરના ઈતિહાસમાં સૌથી લાંબું નવનિર્માણ કરી તંત્ર રેકોર્ડ બનાવશે કે કેમ? તેવી ચર્ચાઓ ઉઠી હતી.
બસ સ્ટેન્ડમાં હાલ વર્ષોથી કામ ચાલતુ હોય મુસાફરો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહયા છે અને પીવાના પાણી, મુસાફરોને બેસવાની સુવિધા નહિ હોય લોકો પરેશાન થઈ રહયા છે. કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા શનિવારે અચાનક સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતેનાં કામોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા અને તેમની સાથે જિલ્લા કલેક્ટર અને એસટી વિભાગના અધિકારીઓ પણ હતા.
દરમિયાન ત્યાં હાજર લોકોએ આ તમામની હાજરીમાં જ પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી અને બસ સ્ટેન્ડના ચાલી રહેલા કામમાં પણ હલકી ગુલવત્તાનું કામ થતું હોવાની વાત કરતા રાજકોટ એસટી વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક પણ યોજી હતી અને લોકોના આક્ષેપ મુજબ નબળા બાંધકામ મામલે તપાસ શરૂ કરી છે.