સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન મામલે થયેલી બબાલ હિંસક બનતા બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બે લોકોની હત્યા થઈ જતા આ વિસ્તારમાં અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્ચે તંગદીલી વ્યાપી ગઈ છે.
મોડી રાત્રે બંને જૂથોએ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે સામસામે થયેલા ધીંગાણામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર દરમિયાન બે સગાભાઈ એવા પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડના સારવાર દરમિયાન મોત થયા હતા.
જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થઈ રહ્યા હોય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
બન્ને ભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાતા સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આથી હોસ્પિટલમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈ સમઢીયાળામાં ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.