બુધવારે ગાંધીનગર આયલેન્ડ વિકાસ ઓથોરિટીની મહત્વની બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા પિરોટન ટાપુ અને બેટ દ્વારકાના વિકાસ માટે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. પિરોટન, શિયાળ અને બેટ દ્વારકા ટાપુઓના વિકાસ માટે અંદાજિત 180 કરોડના ખર્ચે વિકાસ યોજના ચર્ચાઈ હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપુને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કે પુરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે. રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપુઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં કેન્દ્ર સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ ટાપુઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપુઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા. પિરોટન ટાપુ પર જવા-આવવા માટે દરિયાઇ ભરતી વેળાની સ્થિતિ વિષયક બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને સૂચન કર્યુ હતું કે, પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનિંગ કરીને વિશ્વનાં આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજજ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે. તેમણે પિરોટન ટાપુની વિશેષતા એવા કોરલ સહિત બર્ડ વોચિંગ, લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ ટાપુઓ પરની પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે એ માટે આઇ.ટી.આઇ. દ્વારકાને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે કાર્યરત કરવા સંબંધિત વિભાગોને સંકલન માટેની તાકીદ કરી હતી. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસ તેમજ સચિવ અશ્વિનીકુમાર, વન-પર્યાવરણ, મહેસૂલ ગૃહ શહેરી વિકાસ, પ્રવાસન વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.