ગુજરાતની ૨૬ બેઠકો પર ૩૭૧ ઉમેદવારોનુ ભાવિ તા.૨૩મીએ યોજાનારી ચૂંટણીમાં નક્કી થવાનું છે, તેમાં મધ્ય ગુજરાતમાં લોકસભાની પાંચ બેઠક પરથી ચૂંટણી લડતા ૫૧ ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થઈ જશે.
૨૦૧૪માં મધ્યગુજરાતની પાંચ બેઠક વડોદરા,ભરૃચ, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં ૪૮ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. જેમાં પાંચેય બેઠક ભાજપે જીતી લીધી હતી. આ વખતે ૨૦૧૯માં શું થશે તે અંગે તર્કવિતર્ક થઈ રહ્યાં છે.
આ વખતે ભરૃચમાં સૌથી વધુ ૧૭ અને પંચમહાલમાં સૌથી ઓછા ૬ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.
વડોદરામાં ભાજપનાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસ પ્રશાંત પટેલ (ટીકો) વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. રંજનબેન ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાતા ૩,૨૯,૫૦૭ મતથી જીત્યા હતા. વડોદરામાં કુલ ૧૩ ઉમેદવારો મેદાનમાં છે.
ભરૃચમાં સૌથી વધુ ૧૭ ઉમેદવાર સ્પર્ધામાં છે. અહી પણ ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાનો મુકાબલો બીટીપીના છોટુ વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ વચ્ચે થશે. સમગ્ર મધ્ય ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ભરૃચમાં થશે. ૨૦૧૪માં ત્રિપાંખિયો જંગ ન હતો. એ સમયે મનસુખ વસાવા ૧૫૩૨૭૩ મતથી જીત્યા હતા.
પંચમહાલમાં સૌથી ઓછા ૬ ઉમેદવાર છે. ૨૦૧૪માં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ ૧૭૦૫૯૬ મતની લીડથી ચૂંટણી જીત્યા હતા. આ વખતે ભાજપે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ નથી આપી. ભાજપે લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને જંગમાં ઉતાર્યા છે. તેમની સામે કોંગ્રેસના વી.કે.ખાંટ છે. અને બંને વચ્ચે સીધો મુકાબલો થશે.
છોટાઉદેપુર બેઠક હાલ ભાજપના કબજામાં છે. વર્તમાન સાંસદ ભાજપના રામસિંહ રાઠવાને ટિકિટ આપી નથી. અને તેમના સ્થાને મહિલાને મેદાનમાં ઉતાર્યા છે. છોટાઉદેપુર બેઠકના ઇતિહાસમાં મહિલા લોકસભાની ચૂંટણી પ્રથમવાર લડે છે. ભાજપના ગીતાબેન રાઠવા અને કોંગ્રેસના રણજીત રાઠવા વચ્ચે સીધી સ્પર્ધા થશે. રામસિંહ ગઈ ચૂંટણી ૧૭૯૭૨૯ મતથી ચૂંટણી જીત્યા હતા. છોટાઉદેપુરમાં આઠ ઉમેદવાર છે.