ગાંધીનગર- ગુજરાતમાં આવેલા વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓની વિનંતી છે કે જે વડીલો અહીંયા છે તેમને થોડા સમય માટે તેમના પરિવારજનોએ તેમના ઘરે લઇ જવા જોઇએ, કારણ કે અહીંયા જો કોઇને કોરોના વાયરસનો ચેપ લાગશે તો હાહાકાર મચી જશે. ગાંધીનગર સ્થિત વૃદ્ધાશ્રમના એક ટ્રસ્ટીએ કહ્યું છે કે અમે તમારા વડીલોની વર્ષો સુધી સેવા કરીશું પરંતુ પ્લીઝ, અત્યારે તેમને તમારા ઘરે લઇ જાવ. તેમણે વડીલોના પરિવારજનોને મોબાઇલથી જાણ કરી છે.
ગાંધીનગરની આસપાસ નવ થી દસ જેટલા મોટા વૃદ્ધાશ્રમો આવેલા છે. પેથાપુર પાસેના એક વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ પરિવારજનોને વિનંતી કરી તેમના વડીલોને બે થી ત્રણ મહિના ઘરે લઇ જવાની વિનંતી કરી છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં વૃદ્ધાશ્રમની સંખ્યા પ્રતિવર્ષ વધતી જાય છે. વિવિધ સમાજના આગેવાનો આગળ આવીને તરછોડાયેલા મા-બાપની સંભાળ રાખવા તૈયાર થાય છે તેથી એકલવાયા વડીલોની સંખ્યા પણ રાજ્યમાં વધતી જાય છે.
મુંબઇમાં ઘરસંસાર નામની સંસ્થા ચલાવતા કુલીન વોરાના મતે ગુજરાતમાં 200થી વધુ વૃદ્ધાશ્રમ છે અને દર વર્ષે તેમાં 10 થી 15નો વધારો થતો જાય છે જેની સામે ચાર થી પાંચ બંધ પણ થાય છે. 2005માં રાજ્યમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા 70 જેટલી હતી જે અત્યારે ત્રણ ગણી થઇ છે. બીજી તરફ સરકારી દફતરે નોંધાયેલા વૃદ્ધાશ્રમોની સંખ્યા 350ની આસપાસ છે. કોરોના વાયરસના સમયમાં સરકારે નિરાધાર વડીલોને સહાય કરવા હાથ લંબાવ્યો છે પરંતુ તેનાથી વૃદ્ધાશ્રમની કાયમી મુશ્કેલીનો અંત આવતો નથી.
ગાંધીનગર જિલ્લાના મગોડી પાસે આવેલા એક વૃદ્ધાશ્રમમાં પ્રતિદિન આઠ થી દસ પરિવારો વડીલોને ભોજન, કપડાં. ચપ્પલ અને બીજી ઘર ઉપયોગી ચીજવસ્તુઓ વહેંચવા માટે જતા હોય છે પરંતુ કોરોના વાયરસના સંક્રમણના સમયમાં આ વૃદ્ધાશ્રમમમાં કોઇ પરિવાર સહાય કરવા આવતું નથી. આવી હાલત ગાંધીનગરની આસપાસના તમામ વૃદ્ધાશ્રમની છે. સૌથી મોટી સમસ્યા એવી છે કે વૃદ્ધાશ્રમની સફાઇ કરવા માટેના કર્મચારીઓ કોરોનાના ભયના કારણે આવી શકતા નથી તેથી વડીલોને જાતે સફાઇ કરવી પડે છે.
અમદાવાદમાં આવેલા એક વૃદ્ધાશ્રમના સંચાલકે પરિવારજનોને વિનંતી કરતાં 70 પરિવાર તેમના માતા-પિતાને ઘરે લઇ ગયા છે પરંતુ બાકીના વડીલોને લેવા માટે કોઇ આવ્યું નથી. આ વૃદ્ધાશ્રમમાં 165 વડીલો રહે છે. કેટલાક વડીલો બિમાર હોવાથી તેમના પરિવારજનો તેમને ઘરે લઇ ગયા છે. ટ્રસ્ટીના કહેવા પ્રમાણે જો વૃદ્ધાશ્રમમાં કોરોનાનો ચેપ લાગે તો બહું મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે, કારણ કે આ વડીલોની સારસંભાળ રાખવા માટેનો સ્ટાફ હાલમાં નથી.
પેથાપુર પાસેના એક વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટીઓએ ફોન કરવા છતાં કોઇ પરિવારજનો આગળ આવ્યા નથી. આ જગ્યાએ અત્યારે સ્ટાફમાં કોઇ વ્યક્તિ નથી કે જે વૃદ્ધોની સેવા કરી શકે. એટલું જ નહીં કોરોનાના ભયના કારણે સમૃદ્ધ પરિવારો અહીં સેવાકીય પ્રવૃત્તિ કરી શકતા નથી.