તાઉતે વાવાઝોડું સોમવારે મોડી રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં 8 વાવાઝોડાનું જોખમ ગુજરાત પર ઊભું થયું હતું પરંતુ એક પણ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું નહતું પરંતુ આ વાવાઝોડું ગુજરાતને ઘમરોળી રહ્યુ છે અને વાવાઝોડાના કારણે ગુજરાતને ઘણું નુકસાન પણ થયું છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ આંબા પરથી કેરી પણ ખરી ગઈ છે એટલે તાલાલાની આસપાસના વિસ્તારમાં કેરીના પાકને 60 ટકા જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં 1081 થાંભલા વાવાઝોડાના કારણે પડી ગયા છે. 159 રસ્તાને નુકસાન થયું છે, સાથે 16,500 મકાન અને ઝુંપડા અસરગ્રસ્ત થયા છે અને 40,000 જેટલા વૃક્ષો પણ વાવાઝોડાની અસરના પગલે ધરાશાયી થયા છે અને ત્રણ લોકોના મોત વાવાઝોડાના કારણે થયા છે.
વાવાઝોડાને લઈને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. વાવાઝોડાની અસરના પગલે પ્રાંત અધિકારી દ્વારા મંદિરના અબોટી બ્રાહ્મણોને આ સૂચના આપવામાં આવી હતી અને પ્રાંત અધિકારીની સૂચનાથી દ્વારકાધીશના મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, સામાન્ય દિવસોમાં દ્વારકાધીશના જગત મંદિરમાં એક દિવસમાં 5 વખત ધજાને બદલવામાં આવે છે અને ધજા ચઢાવવાની તમામ વિધિ અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. વાવાઝોડાની અસરના પગલે ભારે પવન હોવાની શક્યતાને લઇ ધજાને બદલવાની વિધિમાં મુશ્કેલી સર્જાઇ શકે છે અને આ જ કારણે પ્રાંત અધિકારી દ્વારા ધજાને અડધી કાઠીએ ફરકાવવાની સૂચના આપી છે. જેથી બ્રાહ્મણો દ્વારા દ્વારકાધીશના જગત મંદિર પર રહેલી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.મંદિરનો ધ્વજ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે નમ્યો હતો ત્યારે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હતી અને હવે આ ધ્વજનો દંડ આખો તૂટી ગયો છે. એટલે કોઈ મોટી મુશ્કેલી આવે તેવી શક્યતા છે. મંદિરના શિખરનો દંડ તૂટવાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ વાવાઝોડાના કારણે દ્વારકાધીશના મંદિરના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.