કોરોનાના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવના જોખમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર માસમાં યુજી અને પીજીના અંતિમ વર્ષના 60 હજાર વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન મોડમાં પરીક્ષાનો આરંભ થનાર છે. બીજી તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. નર્મદ યુનિવર્સિટી પરીક્ષા લેવાની જીદ્દ પર છે, આવા સંજોગોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઈન અથવા ઓપન બુક પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી એક પણ યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી નથી અને જ્યાં લેવામાં આવી છે ત્યાં કોરોનાના કેસ મળ્યા છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે જો હજારો વિદ્યાર્થીઓ એક સ્થળે ભેગા થઈને પરીક્ષા આપશે તો કોરોના ફેલાવવાની શક્યતા વધારેે છે. પરીક્ષાને કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાશે તો તેની જવાબદારી યુનિવર્સિટી લેશે? આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિને ઓફલાઈન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઈન અથવા ઓપન બુક પરીક્ષા યોજવા માટે રજૂઆત કરાઈ છે.
નર્મદ યુનિવર્સિટીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો પરીક્ષાઓ ઓનલાઈન મોડમાં અથવા ઓપન બુક પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે. હાલના સંજોગોમાં ઓફલાઈન પરીક્ષા શક્ય નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ સુરત શહેરની બહારના વિસ્તારમાંથી આવે છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે તેમજ ચોમાસાની ઋતુ હોવાથી તેમનો મોટા બાગનો સમય અપડાઉનમાં ડ જતો રહે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ટેસ્ટીંગ કીટ તરીકે વાપરવાનું બંધ કરી તાત્કાલિક ઓફલાઈન પરીક્ષા રદ્દ કરી ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવા માટે તાકીદ કરાઈ છે.