લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં આજે 15 રાજ્યોની કુલ 117 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના રાણીર મતદાન મથક પરથી મતદાન કર્યું હતું. PM મોદીએ મતદાન કરીને બહાર નીકળ્યાં પછી મીડિયા સમક્ષ નિવેદન આપતાં મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી. જો કે આ વખતે તેઓએ તેમના હાથમાં કમળનું નિશાન લઇને મતદાનની અપીલ કરી ન હતી જેને કારણે ગત લોકસભા ચૂંટણીમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મતદાન કર્યા પછી PM મોદીએ કહ્યું હતું કે આજે દેશમાં ત્રીજા ચરણનું મતદાન થઇ રહ્યું છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાનો મોકો મળ્યો છે. મત આપીને આ મહાન લોકતંત્રના પર્વમાં ભાગીદાર થવાનો મોકો મળ્યો. જે રીતે કુંભમાં સ્નાન કરવાથી પવિત્રતા અનુભવાય છે તેવી જ પવિત્રતાનો અનુભવ મતદાન કરવાથી થઇ રહ્યો છે. હું મતદાતાઓને અપીલ કરું છું કે ઉમંગ સાથે મતદાન કરો. કોને મત આપવો છે એ ભારતના મતદાતા સારી રીતે સમજે છે. પહેલી વાર મતદાન કરનારા તમામને શુભકામના. આ સદી પહેલી વાર મત નાખનારા માટેની છે. તેમણે પોતાની સદીને ઉજ્જવલ બનાવવા માટે મત આપવાનો છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે, આતંકવાદનું શસ્ત્ર જે રીતે IED હોય છે તે રીતે લોકતંત્રનું શસ્ત્ર વોટર ID હોય છે. મને લાગે છે કે વોટર ID માં IED કરતા વધારે તાકત હોય છે.