દેવભૂમી દ્વારકાઃ ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ગંભીર બનતો જાય છે. ત્યારે કોરોના વાયરસે અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમી દ્વારકામાં એક કરુણ ઘટના બની હતી. કોરોના વાયરસના કારણે ચકચારી ઘટના બની હતી. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે દ્વારકામાં જયેશભાઈ જૈન નામના વ્યક્તિનું ગઈકાલે કોરોનાથી નિધન થયું હતું. જે બાદમાં આખો પરિવાર ઊંડા આઘાતમાં હતો. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવાર સર્વસ્વ ગુમાવ્યાની લાગણી અનુભવતો હતો. મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
એક જ પરિવારમાં ચાર ચાર મોતથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એવી માહિતી મળી છે કે પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,545 કેસ નોંધાયા છે. જેની સામે 13,021 દર્દીઓ સાજા થયા છે. સતત બીજા દિવસે કોરોનાની સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ને કારણે 123 દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,035 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 75.92 ટકા છે. અત્યારસુધીમાં 1,01,60,781 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 28,69,476 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.