સીઝફાયરથી અમેરિકા કે ઈરાન નહીં, પણ ઓમાનને થશે સૌથી મોટો ફાયદો; જાણો શું છે કારણ
મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના 40મા દિવસે આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના સીઝફાયર પર સહમતી બની છે. આ સમજૂતીમાં ઈરાને જે શરતો મૂકી છે, તેમાં એક એવી જોગવાઈ છે જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ જોગવાઈ મુજબ, ઈરાન અને ઓમાન હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પાસેથી ‘ટ્રાન્ઝિટ ફી’ વસૂલી શકશે. આ નિર્ણયથી ઓમાનની તિજોરી છલકાઈ શકે છે.
નિયમ શું કહે છે અને અત્યાર સુધી શું હતું?
ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ રસ્તો માત્ર 34 કિલોમીટર પહોળો છે અને તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. દુનિયાનો લગભગ પાંચમો ભાગનો તેલ વેપાર આ સાંકડા માર્ગેથી થાય છે. યુદ્ધ પહેલા સુધી કોઈપણ દેશ આ રસ્તેથી પસાર થવા માટે કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ‘ટોલ’ વસૂલતો નહોતો. પરંતુ યુદ્ધ દરમિયાન આ માર્ગ બંધ રહેતા હવે તેને ખોલવા માટે ઈરાને ટેક્સની શરત મૂકી છે.
ઈરાન શા માટે વસૂલવા માંગે છે ટેક્સ?
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુદ્ધમાં ઈરાનના સંરક્ષણ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી વસૂલાતા પૈસાનો ઉપયોગ કરવા માંગે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે ઈરાનનો આ પ્રસ્તાવ વ્યવહારુ છે, કારણ કે તે વિશ્વ માટે સૌથી મહત્વનો તેલ માર્ગ ખોલવા માટે તૈયાર છે.
ઓમાનની શું ભૂમિકા રહેશે?
ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીના જણાવ્યા મુજબ, ઈરાન હવે ઓમાન સાથે મળીને એક નવો ‘પ્રોટોકોલ’ તૈયાર કરી રહ્યું છે. આ પ્રોટોકોલ હેઠળ:
- હોર્મુઝમાંથી પસાર થવા માટે જહાજોએ ખાસ પરમિટ અને લાયસન્સ લેવું પડશે.
- જહાજ કેવા પ્રકારનું છે અને તેમાં કયો માલ સામાન છે, તેના આધારે ફી નક્કી કરવામાં આવશે.
- ઓમાન આ માર્ગમાં ભાગીદાર હોવાથી, આ કમાણીનો મોટો હિસ્સો ઓમાનના ફાળે પણ જશે.
શું ઈરાન આવો ટેક્સ વસૂલી શકે? (કાનૂની ગૂંચ)
આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદો (UNCLOS) કહે છે કે કોઈપણ દેશ માત્ર રસ્તો આપવા માટે ફી માંગી શકે નહીં. જોકે, જહાજ ખેંચવાની સેવા (Tugging), પાયલોટ સર્વિસ કે બંદરની સુવિધાઓ માટે ફી વસૂલી શકાય છે. ઈરાન આ કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને હવે જહાજો પાસેથી મોટી રકમ વસૂલવાની તૈયારીમાં છે.

