હોર્મુઝની ખાડીમાં ૨૦ હજાર નાવિકોના જીવ જોખમમાં: રાશન અને ઇંધણ ખૂટ્યા, સમંદરની વચ્ચે મદદ માટે પોકાર
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ફસાયેલા ૨,૦૦૦ જેટલા માલવાહક જહાજો અને તેમાં સવાર ૨૦,૦૦૦ નાવિકોની મુસીબતોનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. આ નાવિકો અત્યારે સમંદરની વચ્ચે ભૂખ, તરસ અને મોતના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે.
ભૂખ અને તરસ સામે જંગ
યુદ્ધ શરૂ થતા જ ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે મહિનાઓથી આ જહાજો અહીં અટવાયેલા છે. હાલત એટલી ખરાબ છે કે જહાજો પર ખાવા-પીવાનું રાશન અને પીવાનું પાણી લગભગ ખતમ થઈ ગયું છે. યુદ્ધની સ્થિતિને કારણે કિનારેથી કોઈ સપ્લાય બોટ આ જહાજો સુધી પહોંચી શકતી નથી. નાવિકો સતત ઈમરજન્સી મેસેજ મોકલી રહ્યા છે, પરંતુ સમંદરની વચ્ચે તેમને કોઈ રાહત મળી રહી નથી.
સીઝફાયર છતાં જહાજો કેમ આગળ નથી વધતા?
સવાલ એ થાય કે જો યુદ્ધવિરામ થઈ ગયો છે તો જહાજો કેમ નીકળતા નથી? હકીકતમાં આ સીઝફાયર અત્યંત નાજુક છે. જહાજોના કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ એટલા ડરેલા છે કે તેઓ પોતાનું જહાજ આગળ વધારવા તૈયાર નથી. તેમને ડર છે કે ગમે ત્યારે મિસાઈલ કે ડ્રોન હુમલો થઈ શકે છે. કેપ્ટનોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ક્રૂના જીવ જોખમમાં મૂકીને આ ‘ડેથ ઝોન’ (Death Zone) ને પાર કરવાની હિંમત કરી શકશે નહીં.
વીમા કંપનીઓએ પણ હાથ ઊંચા કરી દીધા
હોર્મુઝમાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે દરિયાઈ વીમા (Maritime Insurance) કંપનીઓએ આ જહાજોને કવરેજ આપવાની ના પાડી દીધી છે. કોઈપણ કોમર્શિયલ જહાજ વીમા વગર આટલા જોખમી રસ્તા પરથી બહાર નીકળી શકે નહીં. અબજો ડોલરનો માલ અને હજારો જિંદગીઓ અત્યારે કોઈપણ સુરક્ષા વગર લટકી રહી છે.
સીઝફાયર અંગેની મડાગાંઠ અને અસમંજસ
ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારમાં ઘણી ગૂંચવણો છે. ઈરાન કહે છે કે શરત મુજબ લેબનાન પર હુમલા બંધ થવા જોઈએ, જ્યારે ઈઝરાયેલ લેબનાન પર હુમલા વધારી રહ્યું છે. ઈરાને ફરીથી હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી છે. આ વિવાદને કારણે જહાજોના માલિકોને ડર છે કે જો તેઓ જહાજ અંદર મોકલશે અને ફરીથી યુદ્ધ ફાટી નીકળશે, તો તેમના જહાજો હંમેશા માટે ત્યાં ફસાઈ જશે.
ક્યારે આવશે આ સંકટનો અંત?
આવતા અઠવાડિયે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થવાની છે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ ભાગ લેશે. જો આ મંત્રણા સફળ થાય તો જ કંઈક ઉકેલ આવી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે રસ્તો ખુલી જાય તો પણ હોર્મુઝમાં જહાજોનો એટલો મોટો ટ્રાફિક જામ છે કે આ બધું સામાન્ય થતા મહિનાઓ લાગી જશે.
આ ૨૦,૦૦૦ પરિવારો અત્યારે પોતાના સ્વજનોની હેમખેમ ઘરવાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે, જ્યારે પેલી તરફ સત્તાની લડાઈમાં માનવીય સંવેદનાઓ સમંદરના મોજાંમાં ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે.

