હોર્મુઝ સંકટ: અમેરિકાની મદદ વગર જળમાર્ગ ખોલવા ભારત સહિત 60 દેશોની ‘પ્લાન B’ પર ચર્ચા
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પર યુદ્ધના કારણે સર્જાયેલી અવરોધક સ્થિતિને દૂર કરવા માટે ભારત સહિત 60થી વધુ દેશોએ કમર કસી છે. દુનિયાનો લગભગ 20% ઉર્જા વેપાર આ માર્ગે થાય છે, પરંતુ હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે જ્યાં રોજની 100 જહાજોની અવરજવર થતી હતી, ત્યાં હવે માંડ 3 થી 4 જહાજો પસાર થઈ રહ્યા છે. આ સંકટને ઉકેલવા માટે બ્રિટનની આગેવાનીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અમેરિકાની ગેરહાજરી નોંધનીય હતી.
ભારત માટે ઉર્જા સુરક્ષાનો ગંભીર પ્રશ્ન
આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભાગ લીધો હતો. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં મુક્ત નેવિગેશન (નૌકાયન) અત્યંત જરૂરી છે. ભારત માટે આ મુદ્દો એટલા માટે સંવેદનશીલ છે કારણ કે આ સંઘર્ષ દરમિયાન ભારતે પોતાના નાવિકો ગુમાવ્યા છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ખાડી દેશો પર નિર્ભર છે, તેથી હોર્મુઝમાં અવરોધ સીધી રીતે ભારતીય અર્થતંત્ર અને તેલના ભાવો પર અસર કરે છે.
અમેરિકા વગરનો ‘પ્લાન B’
આ બેઠકની સૌથી મોટી વાત એ હતી કે સાથી દેશો હવે અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે પોતાનો અલગ રસ્તો શોધી રહ્યા છે. એવી આશંકા સેવાઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હોર્મુઝનો માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત કર્યા વગર જ સૈન્ય કામગીરી સમેટી લે તો વિશ્વ માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. આથી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા દેશો રાજદ્વારી અને આર્થિક માર્ગે ઈરાન પર દબાણ લાવીને આ રસ્તો ફરીથી શરૂ કરવા માટે ‘પ્લાન B’ તૈયાર કરી રહ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
હાલમાં હોર્મુઝની બંને તરફ આશરે 2,000 જેટલા જહાજો ફસાયેલા છે. સાઉદી અરેબિયા, UAE અને કતાર જેવા મોટા તેલ નિકાસકાર દેશો માટે આ સાંકડો દરિયાઈ માર્ગ જીવનરેખા સમાન છે. આ માર્ગ બંધ થવાને કારણે એશિયાના દેશોમાં વીજ વપરાશમાં કાપ અને કામકાજના દિવસો ઘટાડવા જેવી કટોકટીભરી સ્થિતિ ઊભી થઈ છે. સૈન્ય નિષ્ણાતો આવતા અઠવાડિયે મળવાના છે જેથી એ તપાસી શકાય કે આ વિસ્તારમાંથી દરિયાઈ સુરંગો (Mines) કેવી રીતે હટાવી શકાય.
ભારતનું વ્યૂહાત્મક સંતુલન
રસપ્રદ વાત એ છે કે, આટલી તંગદિલી વચ્ચે પણ ઈરાને ભારતને ‘મિત્ર રાષ્ટ્ર’ ની યાદીમાં રાખ્યું છે. આ કારણે જ ચીન અને રશિયાની સાથે ભારતીય જહાજોને પણ શરતી રીતે પસાર થવાની મંજૂરી મળી છે. તાજેતરમાં ભારતના 6 જહાજો આ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થયા છે. જોકે, ભારત આ માર્ગના ઉપયોગ બદલ કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સ કે ‘ટ્રાન્ઝિટ ફી’ ચૂકવવાના પક્ષમાં નથી, જેને લઈને ઈરાન સાથે વાતચીત ચાલુ છે.

