હોર્મુઝ બાદ હવે સ્વેઝ નહેર બ્લોક કરવાની તૈયારી: ઈરાને હૂતી વિદ્રોહીઓને કર્યા સક્રિય
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે વૈશ્વિક વેપાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બાદ હવે ઈરાન સ્વેઝ નહેરને પણ બંધ કરવાની રણનીતિ ઘડી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હેતુ માટે ઈરાને તેના પ્રોક્સી ગ્રુપ ગણાતા હૂતી વિદ્રોહીઓને ફરી સક્રિય કર્યા છે. જો સ્વેઝ નહેરનો માર્ગ અવરોધાય છે, તો વિશ્વભરના અર્થતંત્રમાં ભારે ખળભળાટ મચી શકે છે.
લાલ સમુદ્રમાં હૂતીઓનો આતંક વધવાની આશંકા
સ્વેઝ નહેર એ લાલ સમુદ્ર (Red Sea) મારફતે પસાર થાય છે, જ્યાં યમનના હૂતી વિદ્રોહીઓનો નોંધપાત્ર પ્રભાવ છે. અહેવાલ મુજબ, યુદ્ધના 12માં દિવસે હૂતીઓ સક્રિય થયા છે અને તેઓએ આગામી સમયમાં સ્વેઝ નહેર પર રોકેટ હુમલા કરવાની ધમકી આપી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય યમન અને જિબૂતી વચ્ચેના વ્યૂહાત્મક ‘બાબ અલ-મંડેબ’ જળમાર્ગને નિશાન બનાવીને જહાજોની અવરજવર ખોરવવાનો છે.
શા માટે સ્વેઝ નહેર ઈરાનના નિશાના પર છે?
હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થવાના કારણે મધ્ય પૂર્વના દેશો હવે યુરોપમાં તેલ મોકલવા માટે સ્વેઝ નહેરના વૈકલ્પિક માર્ગનો વધુ ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે. સામાન્ય રીતે આ નહેરમાંથી દરરોજ 70 થી 80 માલવાહક જહાજો પસાર થાય છે, જેની સંખ્યા વધારવાનું આયોજન હતું. ઈરાન ઈચ્છે છે કે જો યુદ્ધ લાંબુ ખેંચાય, તો દુનિયાની અર્થવ્યવસ્થા સંકટમાં મુકાઈ જાય. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ પણ ચેતવણી આપી છે કે જો જંગ ચાલુ રહેશે, તો તેઓ તેલનું એક ટીપું પણ બહાર જવા દેશે નહીં.
વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર તેની અસર
સ્વેઝ નહેર વિશ્વના કુલ વેપારના અંદાજે 12 ટકા હિસ્સો ધરાવે છે. આ માર્ગે કાપડ, ઈલેક્ટ્રોનિક્સ અને ક્રૂડ ઓઈલનો જંગી પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. આ નહેરના કારણે યુરોપ અને એશિયા વચ્ચેનું અંતર લગભગ 7,000 કિલોમીટર જેટલું ઘટી જાય છે.
જો આ ‘ચોક પોઈન્ટ’ બંધ થાય છે, તો તેની સીધી અને ગંભીર અસર ભારત, ચીન, જાપાન, સિંગાપોર અને ફ્રાન્સ જેવા દેશો પર પડશે. હોર્મુઝ સ્ટ્રેટના આંશિક અવરોધને કારણે પહેલેથી જ તેલના નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે સ્વેઝ નહેર બંધ થવી એ બળતામાં ઘી હોમવા જેવું સાબિત થઈ શકે છે.

