ICMR ની ગંભીર ચેતવણી: મલ્ટિપલ ઇન્ફેક્શનના કારણે ડેન્ગ્યુ થયો વધુ જીવલેણ, જાણો મુખ્ય લક્ષણો
ભારતમાં ડેન્ગ્યુ સામેની લડાઈ હવે એક અત્યંત નાજુક અને ગંભીર તબક્કે પહોંચી ગઈ છે. દેશમાં ડેન્ગ્યુની પ્રથમ રસી લોન્ચ કરવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), પુણે દ્વારા કરવામાં આવેલા એક લેન્ડમાર્ક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સેરોટાઇપ (Strains) એકસાથે સક્રિય હોવાનું સામે આવ્યું છે.
તબીબી નિષ્ણાતોના મતે, એકસાથે આટલા બધા સ્ટ્રેનનું સક્રિય હોવું એ ગંભીર ડેન્ગ્યુના કેસોમાં વધારો કરી શકે છે. આ પરિસ્થિતિ આવનારા સમયમાં રસીકરણની વ્યૂહરચના અને જાહેર આરોગ્ય ક્ષેત્રે મોટો પડકાર ઊભો કરી શકે છે.

દેશવ્યાપી મોલેક્યુલર અભ્યાસ: ડેન્ગ્યુ બન્યો ‘હાઇપરએન્ડેમિક’
આઇસીએમઆર (ICMR) દ્વારા કરવામાં આવેલો આ સર્વેક્ષણ અભ્યાસ દેશમાં ડેન્ગ્યુ વાયરસનું પ્રથમ મોટો સર્વે છે. આ અભ્યાસમાં વર્ષ 2023 થી 2025 દરમિયાન દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી 45 વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ (VRDLs) માંથી એકત્રિત કરવામાં આવેલા 6,889 લેબોરેટરી-કન્ફર્મ ડેન્ગ્યુના કેસોનું ઝીણવટભર્યું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે અભ્યાસમાં સામેલ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓછામાં ઓછા બે ડેન્ગ્યુ સેરોટાઇપ સક્રિય હતા, જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં ડેન્ગ્યુ હવે ખૂબ જ ઝડપથી ‘હાઇપરએન્ડેમિક’ (Hyperendemic) બની રહ્યો છે.
જે 8 રાજ્યોમાં ડેન્ગ્યુના ચારેય સ્ટ્રેન (DENV-1, DENV-2, DENV-3 અને DENV-4) એકસાથે જોવા મળ્યા છે તેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 15 રાજ્યોમાં ત્રણ સ્ટ્રેન અને બાકીના બે રાજ્યોમાં બે સ્ટ્રેન નોંધાયા હતા.
DENV-2 મુખ્ય સ્ટ્રેન તરીકે ઉભર્યો: મલ્ટિપલ ઇન્ફેક્શનનો ખતરો
રાષ્ટ્રીય સ્તરે એકત્રિત કરાયેલા આંકડા મુજબ, DENV-2 વાયરસ સૌથી વધુ ઘાતક અને પ્રભાવશાળી સાબિત થયો છે, જે કુલ સંક્રમણના 51 ટકા કેસ માટે જવાબદાર છે. અન્ય સ્ટ્રેનની વાત કરીએ તો:
-
DENV-3: 13 ટકા કેસ
-
DENV-1: 7 ટકા કેસ
-
DENV-4: 1 ટકા કેસ
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે લગભગ 7 ટકા દર્દીઓ એકસાથે બે અથવા તેથી વધુ ડેન્ગ્યુ સેરોટાઇપથી સંક્રમિત જોવા મળ્યા હતા, જેને તબીબી ભાષામાં ‘કોનકરન્ટ ઇન્ફેક્શન’ (Concurrent Infection) કહેવામાં આવે છે.
ડોક્ટરો ચેતવણી આપે છે કે એક કરતા વધુ સ્ટ્રેનનું સંક્રમણ દર્દી માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. અભ્યાસ મુજબ, એકસાથે મલ્ટિપલ સ્ટ્રેનથી પીડાતા દર્દીઓમાં નીચે મુજબની ગંભીર આડઅસરો વધુ જોવા મળી હતી:
-
થ્રોમ્બોસાઇટોપેનિયા (Thrombocytopenia): પ્લેટલેટ્સ કાઉન્ટમાં અચાનક અને ભયજનક ઘટાડો થવો.
-
હેમોરેજિક લક્ષણો (Hemorrhagic manifestations): શરીરના આંતરિક અથવા બાહ્ય ભાગોમાંથી રક્તસ્રાવ થવો.
-
અત્યંત અસહ્ય સાંધાનો દુખાવો (Arthralgia).
સામાન્ય રીતે ડેન્ગ્યુમાં સખત તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો અને શરીર પર ફોલ્લીઓ થતી હોય છે. પરંતુ ગંભીર સ્થિતિમાં જો સમયસર સારવાર ન મળે તો ઓર્ગન ફેઇલ્યોર (અંગો કામ કરતા બંધ થવા) અને જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ભારતમાં આવનારી ડેન્ગ્યુ રસી પર આની શું અસર પડશે?
ભારતમાં આગામી વર્ષ સુધીમાં ડેન્ગ્યુની રસી લોન્ચ કરવાની યોજના છે અને હાલમાં કેટલીક રસીઓ વિકાસના અદ્યતન તબક્કામાં છે. પરંતુ, અલગ-અલગ સેરોટાઇપ સામે રસીની અસરકારકતા જુદી જુદી હોઈ શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે કયા પ્રદેશમાં કયો સ્ટ્રેન વધુ સક્રિય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી એવી રસી પસંદ કરી શકાય જે ચારેય સ્ટ્રેન સામે વ્યાપક સુરક્ષા પૂરી પાડી શકે. સતત કરવામાં આવતી મોલેક્યુલર દેખરેખથી સરકારી આરોગ્ય તંત્રને નીચે મુજબના ફાયદા થશે:
-
ડેન્ગ્યુના ઉપદ્રવ કે રોગચાળાની અગાઉથી આગાહી કરવી.
-
વાયરસના બદલાતા સ્વરૂપો અને પેટર્ન પર નજર રાખવી.
-
રસીની વાસ્તવિક અસરકારકતાનું મૂલ્યાંકન કરવું.
-
સ્થાનિક સ્તરે આરોગ્ય નીતિઓ ઘડવી.

પ્રાદેશિક વિવિધતા: રાજ્ય મુજબ બદલાતા આંકડા
ભલે રાષ્ટ્રીય સ્તરે DENV-2 નો દબદબો રહ્યો હોય, પરંતુ સંશોધકોએ અલગ-અલગ રાજ્યોમાં વાયરસની પેટર્નમાં મોટો તફાવત જોયો છે.
ઉદાહરણ તરીકે:
-
DENV-1 સ્ટ્રેન: હરિયાણામાં 38 ટકા, તામિલનાડુમાં 29 ટકા અને રાજસ્થાનમાં 25 ટકા કેસો માટે જવાબદાર હતો.
-
DENV-3 સ્ટ્રેન: ગુજરાતમાં 30 ટકા, તામિલનાડુમાં 29 ટકા, ઉત્તર પ્રદેશમાં 29 ટકા અને પશ્ચિમ બંગાળમાં 20 ટકા કેસમાં જોવા મળ્યો હતો.
આ પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે કે સમગ્ર દેશ માટે એક સરખી નીતિ કામ નહીં કરે, પરંતુ દરેક રાજ્ય અનુસાર સ્થાનિક સ્તરે દેખરેખ રાખવી જરૂરી છે.
ડેન્ગ્યુથી બચવા માટેના જરૂરી ઉપાયો
જ્યાં સુધી ડેન્ગ્યુની રસી સર્વત્ર ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સાવચેતી અને મચ્છર નિયંત્રણ જ શ્રેષ્ઠ બચાવ છે. આરોગ્ય નિષ્ણાતો નીચે મુજબના પગલાં લેવાની સલાહ આપે છે:
-
ઘર અને આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ ખુલ્લું કે અગાસી પર પાણી ભરાઈ ન રહેવા દેવું.
-
મચ્છરોથી બચવા માટે DEET અથવા Picaridin યુક્ત મોસ્કિટો રેપિડન્ટ્સનો ઉપયોગ કરવો.
-
ખાસ કરીને દિવસના સમયે આખી બાયના કપડાં પહેરવા.
-
ઘરમાં બારી-બારણા પર જાળી લગાવવી અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
-
જો સખત તાવ, અસહ્ય માથાનો દુખાવો, ઝાડા-ઉલટી કે શરીર પર લાલ ચાંઠા પડે તો તાત્કાલિક નજીકના તબીબનો સંપર્ક કરવો.