નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં લેભાગુ તત્વો અને નકલખોરો બેફામ બન્યા છે અને હવે તેઓ નકલી કોરોના વેક્સીન બનાવી કમાણી કરવાની તૈયારી કરી રહ્યા છે. ખુલ્લા બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અરજી પ્રમાણે ઈન્ટરપોલે પોતાના 194 સદસ્ય દેશોની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને વૈશ્વિક એલર્ટ આપ્યું છે. તેમાં ફિઝિકલ અને ઓનલાઈન એમ બંને રીતે કોવિડ-19 વેક્સિનને ટાર્ગેટ બનાવવા સંગઠિત ગુનાહિત નેટવર્કનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.ભારત એક વિશાળ દેશ છે અને તેની વસ્તી પણ ઘણી વધારે છે. આ સંજોગોમાં તે ગુનાહિત સંગઠનો અને કંપનીઓ માટે નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે.
વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી કે, કોઈ સંગઠન, કંપની કે વ્યક્તિ દ્વારા નકલી વેક્સિનના વેચાણ કે વિતરણ જેવા ગુનાહિત કામ રોકવા કડક કાયદા બનાવવા કેન્દ્રને નિર્દેશ આપવામાં આવે.
અરજીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા અન્ય કાયદા અંતર્ગત દિશા-નિર્દેશો બનાવવા કહેવામાં આવ્યું હતું. આ દિશા-નિર્દેશો ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે જેની અધ્યક્ષતા અને મોનિટરીંગ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે કોરોના વાયરસના નકલી વેક્સિનેશનના જોખમને લઈ નાગરિકોની સુરક્ષા માટે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. સાથે જ જનતાને સસ્તામાં અને પર્યાપ્ત માત્રામાં વેક્સિન મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.