કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની સત્તા અંગે વટહુકમ બહાર પાડયો કે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગેના નિર્ણય ઉપર મુખ્યમંત્રીનો કોઈ અધિકાર નહીં હોય જેનો અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ કરશે.
અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ આદેશ આપ્યો હતો કે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે. હવે કેન્દ્રએ વટહુકમ દ્વારા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હવે 6 મહિનાની અંદર આને લગતો કાયદો પણ સંસદમાં બનાવવામાં આવશે.
આ અંગે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે કે કેન્દ્રનો આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનું અપમાન છે. કેજરીવાલ સરકારની સત્તા ઘટાડવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.
જોકે,ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સરકારે જે રીતે દિલ્હીના વહીવટીતંત્રને બદનામ કરવાનો અને મનમાની કરવાનો પ્રયાસ કર્યો તેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનું ભાજપ સ્વાગત કરે છે.
જ્યારે આપ ના સાંસદ સંજય સિંહે કહ્યું કે પીએમ મોદીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ તાનાશાહ છે. તેઓ લોકશાહી, બંધારણ અને સુપ્રીમ કોર્ટને માનતા નથી. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે દિલ્હીમાં તમામ સત્તાઓ ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ, પરંતુ મોદી સરકારે વટહુકમ લાવીને આ નિર્ણયને પલટી નાખ્યો. આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે.
શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને સત્તા મળવાના ડરથી કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. નવાઈની વાત છે કે દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને 90% સીટો આપી છે, પરંતુ અરવિંદ કેજરીવાલ દિલ્હીની સરકાર ચલાવી શકતા નથી.
આમ,આ મામલે જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે.