ખેડૂતો નું આંદોલન હવે આગળ વધતું જઈ રહ્યું છે અને 29 માં દિવસે દિલ્હી કૂચ જારી છે ખેડૂતો સાથે હવે યુવાનો પણ જોડાયા છે અને ધરણા શરૂ કર્યા છે એક યુવાને પોતાના શરીર ઉપર પુલવામાના શહીદોના નામના પીઠ પર ટેટુ પણ કરાવ્યા છે.
ખેડૂતોએ પંજાબ-હરિયાણાના આંતરિક વિસ્તારોમાં રિલાયન્સ જિયોનાં ટાવરના વીજ કનેક્શન કાપવાની શરૂઆત કરી છે. નેતાઓનો વિરોધ પણ જારી છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ગુરુવારે સાંજે જિંદના ઉચાના પહોંચવાનું હતું પણ ખેડૂતોએ હેલિપેડ પર માટી ખોદી કાઢી તેના લીધે કાર્યક્રમ રદ કરવો પડ્યો.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે પત્ર લખી ખેડૂતોને કહ્યું કે ત્રણેય કાયદામાં એમએસપીની વાત નથી. સરકાર આ અંગે વર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવા લેખિત આશ્વાસન આપવા તૈયાર છે. જરૂરી વસ્તુ એક્ટમાં સુધારા પર વાત સંભવ છે. વીજ એક્ટ અને પરાળ અંગે હાલ પ્રસ્તાવ લવાયા છે. ખેડૂતો આગામી મંત્રણાની તારીખ અને સમય જણાવે તો વાત કરી શકાય.
આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જયંતી નિમિત્તે શુક્રવારે ખેડૂતોને સંબોધશે. 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 18 હજાર કરોડ ટ્રાન્સફર થશે.
કૃષિ કાયદા વિરુદ્ધ ભારતીય કિસાન યુનિયન દ્વારા સુપ્રીમકોર્ટમાં અરજી કરીને માગ કરાઇ છે કે તેમની અરજી આ મામલે દાખલ થયેલી અરજીઓ સાથે જોડી દેવામાં આવે. કાયદો ગેરબંધારણીય અને ખેડૂતવિરોધી છે. આ કાયદા બાદ બજાર સમિતિઓ ખતમ થઇ જશે. ખેડૂતો આ કાયદાઓથી ભયભીત છે, કેમ કે તેમને શંકા છે કે કૃષિ ક્ષેત્ર ઉપર પણ ખાનગી કંપનીઓ હક્ક જમાવી શકે છે.
Saturday, May 4