બિહારના પાંચજિલ્લામાં ભારે હિંસાનો માહોલ છે જેમાં એકનું મોત થઈ ચૂક્યું છે આ વિસ્તારમાં નાલંદા અને સાસારામમાં છેલ્લા બે દિવસથી તોફાનો ફાટી નીકળતા ઈન્ટરનેટ બંધ કરી દેવાયુ છે અને કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે, શાળા-કોલેજ બંધ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં RAF અને જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બિહારના પાંચ જિલ્લામાં રામનવમી પર્વ દરમિયાન શોભાયાત્રા નીકળતા હિંસા શરૂ થઈ હતી અહીંના બિહાર શરીફ અને નાલંદાના સાસારામમાં બે દિવસથી ફાયરિંગ અને બોમ્બમારો ચાલુ રહયા છે. નાલંદામાં ફાયરિંગમાં એકનું મોત થયું છે,અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
ભાગલપુર અને ગયામાં પણ વિવાદ થયો છે. મુંગેરમાં પણ મૂર્તિ વિસર્જનને લઈને શનિવારે રાત્રે બે જૂથો સામસામે આવી ગયા હતા. મારામારી અને પથ્થરમારો થયો હતો.
સાસારામ પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે 9 વાગ્યે થયેલા બોમ્બ વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને BHUમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બે ઇસમોની ધરપકડ કરી એક સ્કૂટી કબ્જે લીધી છે.
સાસારામમાં શાળા-કોલેજ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. નાલંદામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે અને હિંસા વધુ ભડકે નહિ તે માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. બિહાર શરીફ, સાસારામ અને ગયામાંથી અત્યાર સુધીમાં પોલીસે કુલ 61 લોકોની ધરપકડ કરી છે.