પાકિસ્તાને પોતાની જેલોમાંથી 20 ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો પોતાના વતન ગીર સોમનાથ જિલ્લામાં પરત ફરશે. જોકે, હજું પણ પાકિસ્તાનની જેલોમાં 350 કરતાં વધુ માછીમારો જેલમાં બંધ છે. ભારત સરકારે તેમને પણ મુક્ત કરવાની રજૂઆત કરી છે.
વાઘા સરહદેથી તેઓ ભારતમાં પ્રવેસીને ટ્રેન મારફતે ગુજરાત આવશે. આ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશનના સહયોગથી તમામ માછીમારોને વાઘા સરહદે પહોંચાડવામાં આવશે.
પાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ માછીમારોએ અરબી સમુદ્રની જળસીમા ઓળંગીને પાકિસ્તાનની સરહદમાં આવી ગયા હતા. તે પછી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ માછીમારોએ નિયત કરેલી જેલની સજા કાપી હતી.
તે ઉપરાંત 350 કરતાં વધુ માછીમારો હજુય પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમણે પણ સજા ભોગવી લીધી છે અને ઓળખ પણ થઈ ચૂકી છે એટલે તેમને મુક્ત કરવાની રજૂઆત ભારત સરકારે કરી છે.
માછીમારો માટે કામ કરતા ઈધી ફાઉન્ડેશન પ્રમાણે ભારતના લગભગ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની શક્યતા છે. જેમાંથી 350 જેટલા માછીમારોએ નિયત સજા પૂર્ણ કરી લીધી છે અને તેમની નાગરિકતાની ચકાસણી થઈ ગઈ છે. તેથી તેમને થોડા સમય બાદ મુક્ત કરાય તેવી શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લાના આ માછીમારો પાકિસ્તાનની લાંધી જેલમાં બંધ હતા. એમાંથી ઘણાં માછીમારોએ તો ત્રણેક વર્ષ પહેલાં જ તેમની સજા પૂરી કરી લીધી હતી, છતાં પાકિસ્તાને નાગરિકતાની ચકાસણીના બહાને તેમને જેલમાં બંધ રાખ્યા હતા.
તેમને વાઘા બોર્ડર સુધી પહોંચાડતા પહેલાં કપડાં અને તે સિવાયની ગિફ્ટ્સ આપવામાં આવશે. થોડીક રોકડ રકમ પણ અપાશે એવું ઈધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈઝલ ઈધીએ કહ્યું હતું.
આ સંગઠન વિખ્યાત સમાજસેવક અબ્દુલ સતાર ઈધીના નામે ચાલે છે. તેમને ભારતે પણ ગાંધી પીસ પ્રાઈઝ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાં સબડતાં 600 જેટલાં માછીમારોને ટૂંક સમયમાં મુક્ત કરાવી લેવાશે એવો આશા ભારતીય અધિકારીઓએ વ્યક્ત કરી હતી.