કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક 4.0 માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સોમવારે મળેલા રિપોર્ટ્સ મુજબ માં 1 સપ્ટેમ્બરથી અનલોક-4 શરુ થશે. જેમાં મેટ્રો ટ્રેન સર્વિસને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી શકે છે. ઉપરાંત સિનેમાઘરો અને થિયેટરો ખોલવા અંગે પણ નિર્ણય લેવાઇ શકે. પરંતુ શાળા-કોલેજો ખુલવાની હજુ કોઈ શક્યતા જણાતી નથી.
દેશભરની શાળા તથા શૈક્ષણિક સંસ્થાઓએ રાજ્ય સરકારો મારફતે કેન્દ્રને મોકલેલા પ્રતિભાવોમાં કહ્યું છે કે શાળા ખોલવા અંગે સ્થિતિ સામાન્ય થયા બાદ જ નિર્ણય લેવામાં આવે. બાળકોના આરોગ્ય અને જીવનને લઈ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી શકાય નહીં. આ અંગે કોઈ ઉતાવળીયો નિર્ણય લેવાની જરૂર નથી.
કોરોના વાઈરસના વધી રહેલા કેસનો સામનો કરવા માટે મેટ્રો સેવાને માર્ચ મહિનાના અંત ભાગમાં બંધ કરવામાં આવી હતી. દેશમાં અત્યારે આશરે 31 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. નોંધનીય છે કે દેશમાં કોરોના કેસોનો આંકડો વધીને31 લાખથી વધુનો થઇ ગયો છે અને મૃત્યુઆંક પણ 57 હજાર ઉપર પહોંચી ગયો છે.
અનલોક 3માં સિનેમાઘરો ખોલવા મામલે સરકાર અને થિયેટર માલિકો વચ્ચેના મતભેદને જોતા અનલોક-4માં સરકાર સિનેમાઘર ખોલવા અંગે નિયમોમાં છૂટછાટ આપી શકે છે. સિનેમાઘર તથા મલ્ટીપ્લેક્સના માલિકો 50 ટકા સુધીની ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ સરકાર 25 ટકા ટિકિટ વેચવાની મંજૂરી આપી રહી હતી. તેથી અનલોક 3માં વાત બની નહતી.